મુંબઇ
દેશમાં હાલ પદ્માવત ફિલ્મની રીલીઝને લઇને વાતાવરણ ભારે ગરમાયું છે ત્યારે મુવીની લીડ એકટ્રેસ દીપિકા પદુકોણ મુંબઈ સ્થિત સિદ્ધિવિનાયક મંદિરે દર્શન માટે પહોંચી હતી.પદ્માવતની રીલીઝને હવે બે દિવસની જ વાર છે ત્યારે દીપિકા પદુકોણ મંગળવારે સવારે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચી હતી.31 વર્ષની દીપિકા સફેદ ડ્રેસમાં એકદમ સાદગીથી તૈયાર થઇને મંદિરે પહોંચી હતી.જો કે પદ્માવતને લઇને ચાલી રહેલો ઉગ્ર વિરોધ જોતા દીપિકાની આજુબાજુ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
એવું મનાય છે કે દેશભરમાં પદ્માવતની રીલીઝ સફળતાથી થઇ જાય તે માટે પ્રાર્થના કરવા દીપિકા સિદ્ધિવિનાયકના મંદિરે આશીર્વાદ લેવા પહોંચી હતી.દીપિકાએ મંદિર પહોંચીને પુજા-અર્ચના કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે પદ્માવતની રીલીઝ નહીં થવાની માંગ કરતી કરણીસેનાએ દેશભરમાં આંદોલન છેડ્યું છે અને અનેક ઠેકાણે હિંસાત્મક દેખાવો કર્યા છે.કરણીસેનાના વિરોધ વચ્ચે જો પદ્માવત દેશના થોડા જ સિનેમાઘરોમાં રીલીઝ થશે તો ફિલ્મને પ્રોડ્યુસ કરનાર કંપનીને કરોડોનું નુકસાન થઇ શકે છે.