હાલમાં ચોમાસાની ઋતુ અંતિમ તબક્કામાં છે ત્યારે હવામાન વિભાગે આગાહી કર્યા મુજબ દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં પણ ગતરાત થી વરસાદ વરસી રહ્યો છે જેના પગલે ડાંગરની કાપણી સહિત ચીકુ અને શાકભાજીના પાકને વ્યાપક નુકસાની આવવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.
હાલમાં ચીકુનું ફ્લાવરિંગ શરૂ થશે તેવામાં આ બદલાયેલું વાતાવરણ ચીકુના પાકને માફક આવતું નથી જેના કારણે શિયાળામાં માર્કેટમાં આવતા ચીકુ ને હાલમાં વરસાદી માહોલ નુકસાની પહોંચાડી શકે છે. સાથે જ શાકભાજી પાકમાં નુકસાની કરી શકે છે જેને લઈને જગતનો તાત ચિંતામાં મુકાયો છે.
છેલ્લા અનેક વર્ષોથી માવઠાને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. બાગાયતી પાકોમાં પાક વીમા ન હોવાને કારણે ખેડૂતોને માતબર નુકસાન વેઠવું પડે છે. હાલમાં પણ જ્યારે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે વેપારીઓ માટે પણ આ નુકસાન નિરાશા જન્માવી રહી છે.દિવાળીના તહેવારને હવે ગણતરીના 10 દિવસ બાકી રહ્યા છે ત્યારે ગ્રાહકોની ભીડ બજારોમાં દેખાઈ રહી છે તેવામાં આ વરસાદ વેપારીઓ માટે પણ મુશ્કેલ બન્યો છે