અમદાવાદ,
આવતીકાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ ૯ દિવસ દરમિયાન માતાના વિવિધ સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ નવરાત્રી ૨૫ માર્ચ એટલે કે રામનવમી સુધી ચાલશે. વર્ષ દરમ્યાન બે નવરાત્રી આવે છે જેમાં ચૈત્ર નવરાત્રી ચૈત્ર મહિનામાં ઉજવવામાં આવે છે.
નવરાત્રી દરમિયાન રોજ માતાના અલગ અલગ સ્વરૂપોની પૂજા થશે. તેમજ ૯ દિવસ અલગ અલગ ભોગ ચઢાવવામાં આવશે.
નવરાત્રીના પ્રથમ દિવસે એટલે કે આવતીકાલે માં શૈલપુત્રીની પૂજા કરવામાં આવશે. તેમને ઘીનો ભોગ ચડાવવાથી શરીરના રોગમાંથી મુક્તિ મળે છે.
નવરાત્રીના બીજા દિવસે માં બ્રહ્મચારિણીની પૂજા થાય છે. આ દિવસે માતા બ્રહ્મચારિણીને સાંકરનો ભોગ ચડાવવાથી આયુષ્યમાં વધારો થાય છે.
નવરાત્રીના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાજીને દૂધ ચડાવવાથી સાંસારીક દુઃખોમાંથી મુક્તિ મળે છે.
તો ચોથા દિવસે કુષ્માંડા માતાની આરાધના કરવામાં આવે છે. માં કુષ્માંડાને માલપાંઆનો ભોગ ચડાવવાથી શારીરિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે.
પાંચમાં દિવસે સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે. માતા સ્કંદને કેળા અને મગનો ભોગ ચડાવવાથી પરિવારમાં સુખ-શાંતિ રહે છે અને ધનની વર્ષા થાય છે.
છઠ્ઠા દિવસે માં કાત્યાનીની માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ દિવસે પ્રસાદમાં મધનો ઉપયોગ કરનાર સાધકને સુંદરતા પ્રાપ્ત થાય છે.
સાતમા દિવસે માતા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતા કાલરાત્રિને ગોળનો ભોગ લગાવવાથી ગરીબી દૂર થાય છે.
જ્યારે આઠમો દિવસ મહા ગૌરી એટલે કે માતા દુર્ગાને સમર્પિત છે, આ દિવસે માતાને નારીયેળનો ભોગ લગાવવાથી સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
નવરાત્રીના નવમા દિવસે સિદ્ધદાત્રી માતાની પૂજા થાય છે, માતાજીને અલગ અલગ અનાજનો ભોગ લગાવવાથી જીવનમાં સુખ શાંતિ રહે છે.