બોલિવૂડનાં બાદશાહ અમિતાભ બચ્ચને તાજેતરમાં જ તેમના શો કેબીસી 12 માં એક એવો સવાલ પૂછ્યો હતો, જે પછી સોશિયલ મીડિયા પર ધમાલ મચી ગઈ છે. આ શો નો બહિષ્કાર કરવાની માંગ કરવામાં આવી રહી છે. હવે અમિતાભ બચ્ચન અને કેબીસીનાં નિર્માતાઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં પણ આવી છે.
બોલિવૂડનાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હાલમાં તેમના શો કૌન બનેગા કરોડપતિ 12 ને લઈને ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં જ કર્મવીર પર આધારિત તેમના શો નાં એક ખાસ એપિસોડમાં અભિનેતાએ મનુ સ્મૃતિ વિશે સવાલ પૂછ્યો હતો. જે બાદ વિવાદે જન્મ લીધો છે. આ કેસ અહીં અટક્યો નહીં, પરંતુ આ માટે લખનઉમાં અમિતાભ બચ્ચન તેમજ કેબીસી 12 નાં નિર્માતાઓ સામે એફઆઈઆર પણ નોંધાઈ છે. આપને જણાવી દઇએ કે, સફાઇ કર્મચારી આંદોલનનાં બેજવાડા વિલ્સન અને તેમની સાથે અનુપ સોની કર્મવીર સ્પેશિયલ શો માં પહોંચ્યા હતા. શો શરૂ થયા પછી અમિતાભ બચ્ચને તેમને મનુ સ્મૃતિ વિશે એક સવાલ પૂછ્યો હતો, જે બાદ હવે એક મોટા વિવાદે જન્મ લીધો છે.
દરમિયાન, અમિતાભ બચ્ચને સમજાવતા કહ્યું હતું કે, ડો.બી.આર. આંબેડકર એ જાતિનાં ભેદભાવ અને અસ્પૃશ્યતાને વૈચારિક રીતે ન્યાયી ઠેરવવા માટે પ્રાચીન હિન્દુ ધર્મગ્રંથ મનુસ્મૃતિની નિંદા કરી હતી અને તેની નકલો બાળી નાખી હતી. આવી સ્થિતિમાં લોકોએ વિરોધ શરૂ કર્યો હતો. તેમના કહેવા મુજબ હિંદુઓની ભાવના દુભાય છે. ઘણા લોકો તો કેબીસી શો પર પ્રતિબંધ મૂકવાની માંગ પણ કરવા લાગ્યા છે.