નાણામંત્રી નિર્મલા સીતારમણની આગેવાનીમાં જીએસટી કાઉન્સિલની 45 મી બેઠકના પરિણામો બહાર આવ્યા છે. આ બેઠકમાં પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની અપેક્ષા હતી. જોકે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે GST કાઉન્સિલને લાગ્યું કે પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવાનો આ સમય નથી. તેમણે કહ્યું કે મોટાભાગના રાજ્યો આ મત સાથે સહમત છે. આનો અર્થ એ થયો કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટા કાપની રાહ જોઈ રહેલા લોકો માટે આંચકો છે.
જો કે, ડીઝલ સાથે મિશ્રણ માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને પૂરા પાડવામાં આવતા બાયોડિઝલ પર જીએસટી દર 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. હવે જોવાનું મહત્વનું રહેશે કે તેલ કંપનીઓ ગ્રાહકોને આ ડિસ્કાઉન્ટનો લાભ આપે છે કે નહીં.ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તર પર છે. જેના કારણે સામાન્ય લોકોના ખિસ્સા પર બોજ વધી રહ્યો છે. આ જ કારણ છે કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની અપેક્ષા હતીઅગાઉ પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની દરખાસ્તનો રાજ્યોએ વિરોધ કર્યો હતો.
કેરળના નાણામંત્રી કેએન બાલાગોપાલે કહ્યું છે કે જો પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા માટે કોઈ પગલું લેવામાં આવે તો રાજ્ય તેનો સખત વિરોધ કરશે. બાલાગોપાલના મતે આ પગલાથી રાજ્યના મહેસૂલ સંગ્રહ પર વિપરીત અસર પડશે.મહારાષ્ટ્રએ પણ આવા કોઈ પ્રસ્તાવનો વિરોધ કરવાની જાહેરાત કરી છે.
મીડિયા સાથે વાત કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કોરોના સંબંધિત દવાઓ પર જીએસટી મુક્તિ ચાલુ રહેશે. આ મુક્તિ 31 ડિસેમ્બર 2021 સુધી છે. આ સાથે જ જીવન રક્ષક દવાઓ પર જીએસટીમાંથી છૂટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાણામંત્રીએ માહિતી આપી કે ઝોલ્જેન્સમા અને વિલ્ટેપ્સો દવાઓ પર જીએસટી મુક્તિ આપવામાં આવી છે. આ બંને ખૂબ મહત્વની દવાઓ છે જેની કિંમત લગભગ 16 કરોડ રૂપિયા છે. આથી GST કાઉન્સિલે આ 2 દવાઓને GST માંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. તબીબી સાધનો પર જીએસટી મુક્તિ આપવામાં આવતી નથી.