દેશની રાજધાની એટલે દિલ્હી અને દિલ્હી ખાતે છેલ્લા ઘણા સમયથી ધરતીપુત્ર ખેડૂત કૃષિ કાયદાને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આજે જ્યારે સંયુક્ત કિશાન મોરચાએ ભારત બંધનુ એલાન કરેલ હોય ત્યારે આજે સુરેન્દ્રનગર જીલ્લા સહિત લીંબડી હાઇવે સર્કલ પર ધરતી પુત્ર ખેડૂતો ઘસી આવ્યા હતા અને વાહનો રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસે ચક્કાજામ નિષ્ફળ બનાવ્યો હતો.
આજે સંયુક્ત કિસાન મોરચાએ ભારતબંધનુ એલાન આપ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વેપારીઓએ સ્વયંભુ ધંધા રોજગાર અને દુકાનો બંધ રાખી સમર્થન જાહેર કર્યું હતું. જેમાં આજે મુળી તાલુકાનાં મોટાભાગના ગામોમાં બંધમાં જોડાયાં હતાં. ખેડૂત આગેવાનોની અપીલને વેપારીઓએ માન્ય રાખીને ભારતબંધના એલાન સાથે જોડાયા હતા.
આજે યોજાયેલા કાર્યક્રમમાં ધરતી પુત્ર પ્રદેશ ઉપપ્રમુખ ભરતભાઈ કમેજળીયા, મુકેશભાઇ ડાભી,મહિપતભાઈ કાપડીયા, મુન્નાભાઈ જોગરાણા, સોમાભાઈ સાંગાણી સહિતના ખેડૂતો હાજર રહ્યા હતાં અને આજના દિવસે ખેડૂતોને ન્યાય મળે તે માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યારે પાટડી તાલુકાના જૈનાબાદ હાઇવે પર પણ કોંગ્રેસના સિંકદરભાઇ કુરેશી સહિતના આગેવાનો દ્વારા સૂત્રોચ્ચારો સાથે હાઇવે ચક્કાજામનો કાર્યક્રમ પણ યોજાયો હતો.