મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદેથી ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ ભાજપની સરકાર બનવાની તૈયારીમાં છે. તેની ખુશી ભાજપની છાવણીમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. દેવેન્દ્ર ફડણવીસ તાજ પ્રેસિડેન્સી હોટલ પહોંચ્યા, જ્યાં રાજકીય ગરમાવા વચ્ચે ભાજપના ધારાસભ્યો રોકાયા છે. અહીં તેમણે મીઠાઈ વહેંચીને ઉજવણી કરી હતી. આ પ્રસંગે મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ પણ હાજર હતા. આ દરમિયાન ધારાસભ્યોએ અમારે મુખ્યમંત્રી કૈસે હો દેવેન્દ્ર ફડણવીસ જૈસા હો’ના નારા લગાવ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્રીય નેતૃત્વ અને ફડણવીસ વચ્ચે સરકાર રચવાનો દાવો કરવા માટે વાતચીત થઈ છે. ભાજપ સરકાર રચવા માટે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના આમંત્રણની રાહ જોઈ રહ્યું છે. એવું માનવામાં આવે છે કે ફડણવીસ આગામી સરકારના વડા હશે અને શિવસેનાના બળવાખોર એકનાથ શિંદે આ સરકારમાં તેમના નાયબ હશે. શિંદેની છાવણીના ધારાસભ્યોને અનેક મહત્વપૂર્ણ મંત્રાલયો મળી શકે છે, આ માટે ભાજપે એક ફોર્મ્યુલા તૈયાર કર્યો છે.
#MaharashtraPolitcalCrisis | Former Maharashtra CM & BJP leader Devendra Fadnavis along with state BJP chief Chandrakant Patil & other party leaders at Taj President hotel in Mumbai for a legislative meeting pic.twitter.com/9az7XBhq15
— ANI (@ANI) June 29, 2022
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ રાજ્ય વિધાનસભાના સચિવને આવતીકાલે સવારે 11 વાગ્યે ઠાકરેનો ફ્લોર ટેસ્ટ કરવા કહ્યું હતું. શિવસેનાએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે ત્રણ કલાકથી વધુ સમય સુધી સુનાવણી કર્યા બાદ લગભગ 9 વાગે પોતાનો ચુકાદો આપ્યો હતો.
કોર્ટે ફ્લોર ટેસ્ટ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. આ પછી તરત જ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યની જનતાને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. પોતાના કાર્યકાળ દરમિયાન લીધેલા નિર્ણયોનો પણ ઉલ્લેખ કર્યો. આ સાથે કોંગ્રેસ અને NCP નેતૃત્વનો આભાર માન્યો હતો.
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ લગભગ એક અઠવાડિયા પહેલા શરૂ થયું જ્યારે વરિષ્ઠ મંત્રી એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કર્યો. શિવસેનાના 35 થી વધુ ધારાસભ્યો શિંદેના જૂથમાં જોડાયા હતા અને લગભગ એક અઠવાડિયા સુધી ગુવાહાટીની એક હોટલમાં રોકાયા પછી બુધવારે રાત્રે ગોવા પહોંચ્યા હતા.
રાજકીય ઉથલપાથલ વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ પછી ફડણવીસ રાજ્યપાલને મળ્યા અને ત્યારબાદ તેમણે ફ્લોર ટેસ્ટ માટે આદેશ આપ્યો.