Not Set/ રાજ્યામાં પ્રથમવાર સિવિલમાં બ્રેઈનડેડ દર્દીના બંને હાથનું દાન કરવામાં આવ્યું

અરૂણભાઇ પ્રજાપતિના અંગોના દાન થકી ગુજરાતમાં પ્રથમ વખત બંને હાથના દાન મેળવવામાં પણ સફળતા મળી હત,. જ્યારે સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત બંને ફેફસાનું પણ દાન મળ્યું હતું

Gujarat
11 2 રાજ્યામાં પ્રથમવાર સિવિલમાં બ્રેઈનડેડ દર્દીના બંને હાથનું દાન કરવામાં આવ્યું

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નડિયાદના 52 વર્ષીય અરૂણભાઇ પ્રજાપતિ બ્રેઇનડેડ જાહેર થતા તેમના પરિવારજનોએ અંગદાન માટેની તૈયારી દર્શાવી હતી. અરૂણભાઇ પ્રજાપતિના અંગોના દાન થકી ગુજરાતમાં પ્રથમ વખત બંને હાથના દાન મેળવવામાં પણ સફળતા મળી હતી. જ્યારે સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત બંને ફેફસાનું પણ દાન મળ્યું હતું. બ્રેઇનડેડ અરૂણભાઇનું હ્યદય અને બંને કિડનીનું પણ દાન મેળવવામાં સફળતા મળી હતી. અંગદાનમાં મળેલ બંને હાથ મુંબઇ સ્થિત હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા જયપુરના 22 વર્ષીય યુવકને પ્રત્યારોપણ માટે ગ્રીન કોરિડોર મારફતે મોકલવામાં આવ્યા હતા. જ્યારે હૃદય અને ફેફસાને ગ્રીન કોરિડોર મારફતે ચેન્નઇ મોકલવામાં આવ્યા. બંને કિડનીને અમદાવાદ સિવિલ મેડિસીટી સ્થિત કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવી હતી.

આ સંદર્ભે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતુ કે, સિવિલ હોસ્પિટલને રીટ્રાઇવલ સેન્ટર તરીકે મંજૂરી મળ્યાને દશેરાના પવિત્ર દિવસે 300 દિવસ પૂર્ણ થયા છે. આ 300 દિવસોમાં કોરોનાકાળની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ સિવિલ હોસ્પિટલમાં 14 બ્રેઇનડેડ દર્દીઓના અંગોના દાન મેળવવામાં સફળતા મળી છે. અત્યાર સુધીમાં 14 બ્રેઇનડેડ દર્દીઓના કુલ 50 અંગોનું દાન સ્વીકારાયું છે. જેમાં 14 લીવર, 25 કિડની, 4 સ્વાદુપિંડ, 3 હૃદય, 2 હાથ અને 2 ફેફસાનો સમાવેશ થાય છે. તદ્ઉપરાંત 32 આંખોના પણ દાન મેળવવામાં સફળતા મળી છે. આ તમામ અંગોના દાન થકી 38થી વધુ વ્યક્તિના જીવનશૈલીમાં સુધાર આવ્યો છે તેમજ તેમને નવજીવન મળ્યું છે. આ તમામ વ્યક્તિઓના જીવનમાં ઉજાસ પથરાયો છે તેમ ડૉ. રાકેશ જોષીએ ઉમેર્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, બંને હાથોના દાન સ્વીકાર્યા બાદ કોઇ એક જ જરૂરિયાતમંદ વ્યક્તિમાં બંને હાથનું પ્રત્યારોપણ કરવામાં આવતું હોય છે. ગુજરાત રાજ્યમાં આ પ્રકારની પ્રથમ ઘટના બની રહી હતી. જ્યારે સમગ્ર દેશમાં સંભવિત વર્ષ 2015માં પ્રથમ વખત બંને હાથનું દાન સ્વીકારીને પ્રત્યારોપણ કરવામાં આવ્યુ હતુ. અત્યાર સુધીમાં 5 કિસ્સામાં આ પ્રકારની સફળતા મળી છે. જ્યારે વિશ્વ સ્તરે આ પ્રકારના 110 કિસ્સા નોંધાયા છે.