ગુજરાતમાં 2002ના રમખાણ કેસમાં પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટની ગઇકાલે મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી,આજે તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.સંજીવ ભટ્ટને ટ્રાન્સફર વોરંટ સાથે પાલનપુર જેલમાંથી તેમને અમદાવાદની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ,કોર્ટે બંને વકીલની દલીલો સાંભળીને રિમાન્ડ અંગે ચુકાદો આપ્યો હતો. કોર્ટે 20 જુલાઇ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ કોર્ટમાં સુનાવણીના અંતે સંજીવ ભટ્ટને 20 જુલાઈના સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. સરકારી વકીલે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ત્યારે બચાવ પક્ષના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, સંજીવ ભટ્ટને કમરમાં તકલીફ હોવાના કારણે પોલીસ કસ્ટડીમાં ગાદલું આપવામાં આવે. નામદાર કોર્ટે બચાવ પક્ષની દલીલને ગ્રાહ્ય રાખી હતી.
નોંધનીય છે કે સંજીવ ભટ્ટ જામખંભાળિયાના કસ્ટોડિયલ ડેથના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. રમખાણોમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેનદ્ર મોદી સહિત અનેક મહાનુભાવો સામે દોષી ઠેરવવાની અરજીમાં ક્લીન ચીટને ઝાકિયા જાફરી અને તિસ્તા સેતલવાડે સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે તેમની અરજી ફગાવી દેતાં 16 વર્ષ સુધી આખો વિવાદ સળગતો રાખવા બદલ તિસ્તા અને અધિકારીઓ સામે પણ પગલાં ભરાવા જોઈએ તેવું અવલોકન કર્યું હતું. આ હુકમના થોડા જ સમયમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તિસ્તા, આર. બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સહિતનાઓ સામે એફઆઈઆર નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે.