ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી મિશન ગુજરાત પર ત્રણ દિવસની મુલાકાતે વડોદરા પહોચ્યા હતા. ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ પોતાની ગુજરાત નવસર્જન યાત્રાનો પ્રાંરભ જંબુસરથી કરશે. જંબુસર ખાતે રાહુલ ગાંધીની એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેઓ આજે દયાદરા અને અંકલેશ્વરમાં પણ જાહેરસભાને સંબોધિત કરશે.
આ ત્રણ દિવસ દરમિયાન રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતની ૨૮ વિધાનસભા બેઠકોને આવરી લેશે તેમજ તેઓ પાટીદારો, ખેડૂતો, બેરોજગાર યુવકો, આદિવાસી, વેપાર-ઉદ્યોગના અગ્રણીઓ, આશા વર્કરો સહિત જુદા જુદા વર્ગો સાથે બેઠક કરશે.
ગુજરાત મુલાકતના પહેલા પડાવમાં રાહુલ ગાંધી વડોદરા પહોચ્યા બાદ ત્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પ્રભારી અશોક ગેહલોત, શક્તિસિંહ ગોહિલ, વડોદરા શહેર પ્રમુખ પ્રશાંત પટેલ, મહામંત્રી નરેન્દ્ર રાવત, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.