ગાંધીનગર,
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મીડિયાને સંબોધન કરી ભાજપ સામે વાક પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ ગુરુવારે સરદાર પટેલના નિર્માણાધીન સ્ટેચ્યૂને ‘મેડ ઇન ચાઇના’ કહ્યું હતું. આ મામલે પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાહુલ ગાંધીને ‘મેડ ઇન ઇટલી’ કહ્યા હતા.
આ મામલે પરેશ ધાનાણીએ જણાવ્યુ હતું કે, લોખંડી પુરુષ સરદાર પટેલને લોંખડના ભુક્કામાંથી પૂતળામાં કેદ કરવાનું ષડયંત્ર ભાજપ સરકારે રચ્યું છે. ભાજપ સરકારે ‘મેડ ઇન ઇન્ડિયા’ની વાત કરીને સરદારના પૂતળાને ચીનમાં બનાવવાનો સબ-કોન્ટ્રાક્ટ આપ્યો છે.
આ સત્યને છૂપાવવા માટે ભાજપ રાષ્ટ્રભક્ત રાહુલ ગાંધી સામે સવાલ ઉઠાવી રહી છે. ધાનાણીએ આક્રમક ભાષામાં જણાવ્યુ હતુ કે, અંગ્રેજોની દલાલી કરનાર લોકો હવે આખા દેશને ગીરવે મૂકવાનું કામ કરી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીના સાશનમાં કારગીલના કોફીનમાંથી કટકી કરવામાં આવી. ગંગા સફાઈના નામે સાત હજાર કરોડની દલાલી કરવામાં આવી. મગફળીકાંડમાંથી મલાઈ તારવવામાં આવી. દેશની સરહદની રક્ષા કરનાર રાફેલ વિમાનના સોદામાંથી પણ પોણા બે લાખ કરોડની દલાલી તારવવામાં આવી.