દેશમાં કોરોનાના કેસોની સંખ્યા વધતા હવેથી બે કલાકથી ઓછા સમયવાળી ડોમેસ્ટિક ફ્લાઇટમાં ભોજન મળશે નહીં. આ નિર્ણય કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે લીધો છે. કોરોના સંક્રમણની બેકાબુ રફતારને રોકવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મોટું પગલું લીધું છે.
કેન્દ્રીય મંત્રાલયે સોમવારે આ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું કે દેશમાં કોરોના વાઇરસના કેસો સતત વધતા જે ફલાઇટની સમયમર્યાદા બે કલાકથી ઓછી હશે, તેને ચાલુ વિમાનમાં ભોજન ઉપલબ્ધ કરાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
મંત્રાલયે પોતાના આદેશમાં જણાવ્યું કે આ પ્રતિબંધ ગુરુવારથી લાગુ થશે. નોંધનીય છે કે ગત વર્ષે કોરોના વાયરસ લોકડાઉન બાદ 25 મેથી ઘરેલું ફ્લાઇટ શરુ કરી હતી. ત્યારે મંત્રાલયે કેટલીક શરતો હેઠળ વિમાનમાં ભોજન ઉપલબ્ધ કરાવવાની એરલાઇન્સને મંજૂરી આપી હતી.
હવે અગાઉના આદેશમાં સુધારો કરી મંત્રાલયે એરલાઇન્સને નવા નિર્દેશ આપ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ડોમેસ્ટિક ક્ષેત્રોની ફ્લાઇટનું સંચાલન કરી રહેલી એરલાઇન્સ કંપનીઓ ચાલુ વિમાનમાં જ્યાં મુસાફરી બે કલાક કરતા લાંબી હોય, ત્યાં ભોજન ઉપલબ્ધ કરાવી શકે છે.