અમદાવાદની અસારવા ૧૨૦૦ બેડની હોસ્પિટલ બહાર જાણે કે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ માહોલને તમે કરૂણાંતિકા પણ ગણી શકો. કારણ કે છેલ્લા ચાર કલાકથી આ હોસ્પિટલની બહાર અનેક એમ્બુલન્સોની લાંબી કતાર સર્જાઇ છે. અસારવા હોસ્પિટલના તમામ બેડ હાઉસફૂલ થઇ જતાં હવે હોસ્પિટલ પરિસરમાં નવી એમ્બયુલન્સને એન્ટ્રી નથી અપાઇ રહી. તો બીજી તરફ શહેરમાંથી આવી રહેલા કોરોના સંક્રમિતોને લઇને આવતી એમ્બ્યુલન્સનો ધમધમાટ હજુ ચાલુ જ છે.
તમને જણાવી દઇએ કે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલ ગયા વર્ષે કોરોના માટે શરૂ કરવામાં આવી હતી. જયાં અમદાવાદના અલગ અલગ વિસ્તારો સહીત રાજ્યમાંથી અનેક કોવિડના દર્દીઓ અહી સારવાર લેવા માટે આવી રહયા છે. બીજી તરફ અમદાવાદમાં આજે નવા ૧૯૦૭ કોરોના સંક્રમિત નોંધાયા છે. તો કોરોનાએ વધુ ૨૦ દર્દીઓનો જીવ લીધો છે. સમગ્ર ગુજરાતમાં છ હજારથી વધારે કેસો નોંધાયા છે. અને પપ લોકોના કોરોનાથી મોત થયા છે.
ધીમે.ધીમે વધી રહેલા સંક્રમણથી દર્દીઓનો ફ્લો વધી ગયો છે. સતત આવી રહેલા નવા સંક્રમિતોને લીધે હોસ્પિટલના ખાટલા પણ ખુટી પડ્યા છે. હોસ્પિટલના ૧૨૦૦ બેડ ભરાઇ જતાં ગઇ કાલ રાતથી હવે નવા સંક્રમિતોને એન્ટ્રી મળવાની બંધ થઇ છે. જો હોસ્પિટલમાં જગ્યા ખાલી થાય તો લાઇનમાં ઉભેલી એમ્બ્યુલન્સને એન્ટ્રી આપવામાં આવી રહી છે. પણ તેવું થતાં લગભગ ત્રણ કલાક જેટલો સમય નિકળી રહયો છે. અને ત્યાં સુધી હોસ્પિટલના દરવાજે ઉભેલી એમ્બ્યુલન્સમાં જ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.
જો કે તમને એ પણ જણાવી દઇએ કે હોસ્પિટલની બહાર કતારમાં ઉભા રહી ને સારવારની રાહ જોઇ રહેલા દર્દીઓમાં અનેક દર્દીઓ એવા પણ છે કે જેમને એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. સ્થિતી એવી છે કે દર એક કલાકે હોસ્પિટલ પરિસરમાંથી એક એમ્બયુલન્સ બહાર આવે છે ત્યારે બહારથી એક એમ્બ્યુલન્સને હોસ્પિટલમાં એન્ટ્રી મળી રહી છે.