ઉત્તરપ્રદેશના જ્ઞાનવાપી મસ્જિદ મામલે આજે મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી હાથ ધરાશે. જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં વારાણસી કોર્ટે હિંદુ પક્ષને પૂજાની પરવાનગી આપી હતી. મુસ્લિમ પક્ષ દ્વારા આ ચુકાદાને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જ્ઞાનવાપી મસ્જિદના ભોયંરામાં હિંદુ પક્ષ પૂજા કરી શકે તેવો જિલ્લા અદાલતનો ચુકાદો આપ્યાના દિવસોમાં અરજદાર દ્વારા સોમવારે પરિસરમાં અન્ય તમામ બંધ ભોંયરાના ASI સર્વેક્ષણની માંગણી કરતી અરજી દાખલ કરી હતી. સોમવારે ઈન્ચાર્જ જિલ્લા ન્યાયાધીશ અનિલ કુમારની કોર્ટમાં આ અંગેની અરજી દાખલ કરવામાં આવી હતી. આજે મંગળવારે પૂજાની પરવાનગી આપવા સામે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી થશે.
અસદુદ્દીન ઓવૈસી
જ્ઞાનવાપી મસ્જિદને લઈને AIMIM એટલે કે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ સ્પષ્ટ કર્યું છે કે બસ બસ બહુ થઈ ગયું. અમે એક વખત છેતરાયા છીએ હવે નહી છેતરાઈએ. મુસ્લિમ પક્ષ હવે કોઈ મસ્જિદ આપશે નહીં. ‘જે થાય છે તે જોઈ લઈશું.’ અમે કોર્ટમાં લડીશું. ઓવૈસીએ બાબરી મસ્જિદ વિવાદનો ઉલ્લેખ કરતાં વધુમાં કહ્યું કે, જો સામા પક્ષે 6 ડિસેમ્બરે જે કર્યું તે ફરીથી કરવા માંગે છે, તો અમે જોઈશું કે શું થાય છે. નોંધનીય છે કે 6 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. ત્યારબાદ રામજન્મભૂમિ વિવાદને લઈને દાયકા સુધી હિંદુ પક્ષ અને મુસ્લિમ પક્ષ વચ્ચે મોટો વિવાદ ઉદભવ્યો હતો. જો કે સમયાંતરે આ વિવાદનો ઉકેલ આવ્યો અને 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં નવ નિર્માણ થઈ રહેલ રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.
સર્વેની માંગણી
જ્ઞાનવાપીના બંધ ભોંયરાઓનો સર્વે કરવા માટે શ્રૃંગાર ગૌરી કેસના મુખ્ય દાવેદાર રાખી સિંહ દ્વારા અરજી કરવામાં આવી છે. રાખી સિંહના વકીલો માન બહાદુર સિંહ અને અનુપમ દ્વિવેદી દ્વારા કોર્ટમાં આપવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જ્ઞાનવાપીમાં કરાયેલા સર્વેના રિપોર્ટમાં એ હકીકત સામે આવી છે કે જ્ઞાનવાપીમાં ઘણા ભોંયરા હજુ પણ બંધ છે. પથ્થરો અને જાડી દિવાલો ઉભા કરીને પ્રવેશદ્વાર બંધ હોવાથી ભોંયરાઓનો સર્વે થઈ શક્યો નથી. જ્ઞાનવાપીનું ધાર્મિક સ્વરૂપ નક્કી કરવા માટે બંધ ભોંયરાઓ ખોલીને સર્વે કરાવવો જરૂરી છે. અમારી જાણમાં આવ્યું છે કે મસ્જિદની અંદર ભોંયરાઓ છે તેમાં અન્ય ગુપ્ત ભોંયરાઓ પણ છે, અને તેનો પણ સર્વે કરવો જરૂરી છે જેથી જ્ઞાનવાપી મસ્જિદનું “સમગ્ર સત્ય” બહાર આવે. તમામ ભોંયરાનો સર્વે કરવામાં આવે તે અમને જાણવામાં મદદ કરશે કે ત્યાં પહેલા શું હતું. આવેદનમાં હાલના માળખાને નુકસાન કર્યા વિના ભોંયરાઓના પ્રવેશદ્વારો ખોલી વૈજ્ઞાનિક ઢબે સર્વે કરવા ASIને આદેશ આપવા માંગણી કરવામાં આવી છે.
તાજેતરની અરજીમાં, સિંહે દલીલ કરી છે કે જ્ઞાનવાપી પરિસરની ધાર્મિક પ્રકૃતિ સ્થાપિત કરવા માટે આ ભોંયરાઓનું સર્વેક્ષણ કરવું હિતાવહ છે કારણ કે મુસ્લિમ અને હિન્દુ બંને પક્ષોએ વિરોધાભાસી દાવા કર્યા છે. ખાસ કરીને, સિંઘે રજૂઆત કરી છે કે ભોંયરાઓ N1 અને S1 ના પ્રવેશદ્વાર સંપૂર્ણપણે અવરોધિત છે, જે તેમને દુર્ગમ બનાવે છે. અવરોધિત પ્રવેશદ્વારોને કારણે આ ભોંયરાઓનું અગાઉ ASI દ્વારા સર્વેક્ષણ કરી શકાયું ન હતું.
મુસ્લિમ પક્ષની અરજી
વ્યાસ ભોંયરામાં પૂજા કરવાના આદેશને રોકવા માટે મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. અંજુમન મસ્જિદ કમિટી વતી અરજી દાખલ કરવામાં આવી હતી કે, વ્યાસ ભોંયરામાં પૂજા કરવા માટે જિલ્લા ન્યાયાધીશના આદેશ સામે હાઇકોર્ટમાં રિવિઝન દાખલ કરવી પડશે. આવી સ્થિતિમાં આદેશનો અમલ 15 દિવસ માટે મુલતવી રાખવાની માંગ કરવામાં આવી હતી. હિંદુ પક્ષના વકીલો સુધીર ત્રિપાઠી અને સુભાષ નંદન ચતુર્વેદીએ વાંધો ઉઠાવતા કહ્યું કે આ કેસની સુનાવણી અલ્હાબાદ હાઈકોર્ટમાં ચાલી રહી છે. હવે આ જ મુદ્દો અહીં સાંભળવો અયોગ્ય છે. આના પર કોર્ટે સુનાવણી માટે આગામી તારીખ 8 ફેબ્રુઆરી નક્કી કરી છે.
હિંદુ પક્ષકારો
જ્ઞાનવાપી મસ્જિદમાં હિંદુ પક્ષકારોનું કહેવું છે કે કાશી વિશ્વનાથ મંદિરના કેટલાક ભાગને અડીને આ મસ્જિદ બનાવવામાં આવી છે. ઔરંગઝેબના સમયમાં કાશી વિશ્વનાથ મંદિર પાસે આવેલ એક નાનું મંદિર તોડી આ મસ્જિદ બનાવવામાં આવી છે. આથી આ મસ્જિદનું પોતાનું સ્થાન નથી પરંતુ મૂળ હિંદુઓનું સ્થાન છે. આ સ્થાન પર હિંદુઓનો હક્ક હોવાનો દાવો કરતા હિંદુ પક્ષકારે કોર્ટના દરવાજા ખખડાવતા ન્યાયની ગુહાર લગાવી. વારાણસીની ફાસ્ટ ટ્રેક કોર્ટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI)ને જ્ઞાનવાપી મસ્જિદના આર્કિયોલોજીકલ સર્વેનો આદેશ આપ્યો. આ માટે 5 સભ્યોની એક કમિટી પણ બનાવાઈ છે. બાદમાં કોર્ટે આ આદેશ એ અરજી પર આપ્યો કે જેમાં જણાવાયું છે કે જ્ઞાનવાપી મસ્જિદ જે જગ્યાએ બની છે એ મંદિર છે. તેથી આ જમીન પર હિન્દુ પક્ષને કબજો મળવો જોઈએ.
અયોધ્યામાં રામ મંદિર બાદ જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં હિંદુપક્ષકાર તરફ ચુકાદો આવતો મુસ્લિમ આગેવાનો નારાજ થયા છે. દેશમાં કેટલાક સ્થાનો પર કથિત આગેવાનોએ ભડકાઉ ભાષણો આપ્યા હતા. આ મામલે દેવગિરી મહારાજે પણ સ્પષ્ટ કર્યું કે અયોધ્યા, જ્ઞાનવાપી અને મથુરા સિવાય અન્ય કોઈ સ્થાન પર દાવો કરવામાં આવશે નહી. હિંદુઓ માટે આ ત્રણ સ્થાન વધુ મહત્વના છે અને આક્રમણકારો દ્વારા આ સ્થાનોને નિશાન બનાવતા નષ્ટ કરવાનો પ્રયાસ થયો હતો. જેનાથી હિંદુઓની લાગણીને ઠેસ પંહોચી હતી.
આ પણ વાંચો :Israel Hamas Conflict/ઇઝરાયેલના પ્રધાનમંત્રીએ કર્યો મોટો દાવો,હમાસની 24 બટાલિયનમાંથી 17ને નષ્ટ કરી દીધી
આ પણ વાંચો :ગજબ પ્રેમ કહાની/પ્રેમી સાથે હોલીડે મનાવવા પહોચેલી આ લેડીને ત્યાં બીજા સાથે થઇ ગયો પ્રેમ, પછી થયું એવું કે….
આ પણ વાંચો :India China Tensions/ચીને માલદીવ મોકલ્યું તેનું ‘જાસૂસી જહાજ’ તો ભારતે પણ ડ્રેગનને ઘેરવાની કરી તૈયારી