ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે વતન છોડી ને આવેલા જ વતનથી દુર થવાની પીડા સમજી શકે
માઇક્રો માઈનોરિટી હોવા છતાં પારસી કોમે પોતાનું સત્ત્વ અને તત્ત્વ જાળવી રાખ્યું છે
આઝાદી કાળથી વર્તમાન સુધી દેશના વિકાસ માં પારસીઓએ ઉત્તમ યોગદાન આપ્યું છે
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ પારસી કોમના ઇરાનશાહ ઉદવાડા ઉત્સવમાં સહભાગી થતાં સ્પષ્ટ પણે જણાવ્યુ કે પોતાના ધર્મ ની રક્ષા માટે ૧૩૦૦ વર્ષ પૂર્વે વતન છોડી ભારત આવેલા પારસીઓ સમરસતા અને બંધુત્વ નું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમણે એમ પણ કહ્યું કે ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે વતન છોડવા મજબૂર બનેલા લોકો જ વતનથી દુર થવાની પીડા સમજી શકે છે. ધર્મ રક્ષા માટે વતન છોડવા મજબૂર અને વરસો સુધી શરણાર્થી તરીકેની તકલીફો ભોગવનાર પરત્વે સંવેદનશીલતા સાથે તેમને નાગરિકતા આપવાના નાગરિકતા બિલનો વોટબેંકની રાજનીતિથી દોરવાઇને વિરોધ કરનાર લોકો પોતે ગુમરાહ છે, અને બીજાને રાષ્ટ્ર ધર્મ પ્રત્યે ગુમરાહ કરવા પ્રયાસ કરી રહયા છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો.
આ સંદર્ભ માં તેમણે કહ્યું કે નાગરિકતા બિલ કોઈની નાગરિકતા છીનવી લેવા માટેનું બિલ નથી. આ બિલના વિરોધથી દેશની ધરોહર અને સાંસ્કૃતિક સામાજિક એકતા તોડવા મથતા તત્વોથી સાવધ રહેવા પણ તેમણે અનુરોધ કર્યો હતો. ઈરાન શાહ ઉત્સવ પારસી કોમની સાંસ્કૃતિક વિરાસતની સાથે સાથે સંપ, સદભાવ અને બંધુતાના ઉચ્ચતમ માનવીય સદગુણોને ઉજાગર કરતો ઉત્સવ છે.
વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા અને દર બે વર્ષે ઉજવાતા આ ઉત્સવમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉપસ્થિત રહીને પારસી કોમની ખૂમારી, પ્રતિભા, તેમના સામાજીક પ્રદાન અને સાંસ્કૃતિક વારસાને બિરદાવ્યો હતો.
૧૩૦૦ વર્ષ પૂર્વે પોતાના ધર્મની રક્ષા કાજે જીવને જોખમમાં મૂકી વતન ઇરાનથી પોતાના પવિત્ર અગ્નિ સાથે લઇ નીકળેલા પારસીઓના આ અગ્નિની સ્થાપના ઉદવાડા ખાતે કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ પવિત્ર અગ્નિ સ્થળે વંદના કરવાનો અવસર મળ્યા બદલ કૃતજ્ઞતા વ્યકત કરી હતી. તેમણે આ પવિત્ર અગ્નિ ની અખંડ જયોતના આશીર્વાદથી ગુજરાતના વિકાસની જયોત પણ અખંડ જલતી રહેશે અને સમગ્ર માનવજાતના કલ્યાણની દિશામાં ભારતના રોલ મોડલ તરીકે ગુજરાત પ્રસ્થાપિત કરશે તેવી શ્રધ્ધા વ્યકત કરી હતી.
પોતાના સત્ત્વ અને તત્ત્વને સૌકાઓથી જાળવી રાખનાર પારસી કોમની ખૂમારીને બિરદાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પારસી કોમ માંગનારી નહીં આપવામાં માનનારી કોમ છે. શાંતિ અને સદભાવના પૂર્વક જીવન જીવવાની સાથે સાથે દરિયાદિલીથી સમાજના ઉત્થાન માટે અનેક ચેરીટી કામો કર્યા છે. તેમણે જણાવ્યુ કે, સારા વિચાર, સારા કર્મો અને સારા શબ્દો પારસી સમાજની ઓળખ છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, માઇક્રો માઇનોરીટી હોવા છતાં પારસી સમાજના અનેક લોકોએ દેશ અને ગુજરાતના વિકાસમાં અનન્ય ફાળો આપ્યો છે. તેમણે રતનટાટા, સાયરસ પૂનાવાલા, જનરલ માણેકશા, મેડમ કામા, નાની પાલખીવાલા સહિત અનેક લોકોના પ્રદાનને બિરદાવીને ભારતના સ્વતંત્રતા સંગ્રામથી લઇને આજ દિન સુધીના વિકાસમાં પારસીઓના ફાળાને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.