- સરકાર અને વહીવટ વચ્ચેની ખાઇ વધી
- સરકાર અને વહીવટમાં સંકલનનો અભાવ
- સંકલનના અભાવના કારણે પ્રજાના કાર્ય ટલ્લે
- વહીવટીતંત્ર સામે નેતાના આક્રોશથી સરકાર ચિંતિત
- ધારાસભ્ય જ નહીં ભાજપના સાંસદનો પણ આક્રોશ
- સંકલનનો અભાવ સૌનો સાથ-સૌના વિકાસમાં અવરોધક બનશે ?
ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી સરકાર અને વહીવટ તંત્ર વચ્ચેની ખાઇ વધી રહી હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. અને આના પરિણામે પ્રજા પીસાય છે, તેવી લાગણી ગુજરાતના એક કરતાં વધુ ધારાસભ્યએ વ્યક્ત કરી છે. તો હવે આ પ્રકારે ભાજપના જ સાંસદે પણ અધિકારી સામે રોષ વ્યક્ત કરતાં ગુજરાત ભાજપની સરકાર ચિંતિત બની છે.
ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વની સરકારે સૌનો સાથ – સૌનો વિકાસ સાર્થક કરવાનો અભિગમ અપનાવ્યો છે. પરંતુ વર્તમાન સમયમાં ખુદ ભાજપના જ ધારાસભ્યએ વહીવટીતંત્ર સમક્ષ રજૂ કરેલાં વિકાસકાર્ય કરવામાં વહીવટીતંત્રએ ઉપેક્ષા કરી હોવા સાથે સરકાર સમક્ષ રજૂઆત થઇ છે.
સૌ-પ્રથમ આ અંગેની વ્યથા વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદારે વ્યક્ત કરી હતી. ત્યારબાદ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ , ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ , ઇશ્વર પટેલ અને અરૂણસિંહ રાણાએ જીએસએફસીને આડેહાથ લઇ રજૂઆત કરી છે. તો પૂર્વ ગૃહપ્રધાન મહેન્દ્ર ત્રિવેદીએ પણ પોતે ગ્રાન્ટમાંથી ફાળવેલાં 25 લાખની રકમ પછી કંસારા પ્રોજેક્ટનું પરિણામ શૂન્ય હોવાની રજૂઆત મુખ્યમંત્રી સુધી કરી છે.
તારીખ-28 જાન્યુઆરીનાં રોજ સાંસદ મનસુખભાઇ વસાવાએ આદિવાસીપ્રજાની સમસ્યાને વાચા નહીં મળી હોવાની રજૂઆત કરી છે. આ અગાઉ પણ વડોદરાજિલ્લાના ત્રણ ધારાસભ્યો કેતન ઇનામદાર , યોગેશ પટેલ અને મધુ શ્રીવાસ્તવે વહીવટીતંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે.
અહીં મહત્વની વાત એ છે કે સરકારની વાત અધિકારી કે વહીવટીતંત્ર દ્વારા સાંભળવામાં આવે નહીં , તે કેટલાં અંશે ઉચિત છે ?
સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી વિગત પ્રમાણે તારીખ-15-ડિસેમ્બરે ગાંધીનગરમાં યોજાયેલી પ્રધાનમંત્રીની બેઠકમાં પણ સિનિયરમંત્રી કુંવરજી બાવળિયાએ ગૃહવિભાગના કાર્ય નહીં થતાં હોવા અંગે અવાજ ઉઠાવ્યો હતો. તેમના સમર્થનમાં ખુદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ સૂર પુરાવ્યો હતો. ત્યારે જો વહીવટીતંત્ર જો સરકારની વાત જ કાને નહીં ધરે તો વહીવટીતંત્ર સરકારનું સૂત્ર સૌનો સાથ- સૌનો વિકાસ ક્યારે સાર્થક થશે ?
ગુજરાતસરકારના મુખ્યચિવ પદ માટે અનિલ મુકીમ નિયુક્ત થયા છે. જેઓ કેન્દ્રમાં ઉમદાસેવા આપી ચૂક્યા છે. હવે આ સમસ્યાનાં સમાધાન માટેની જવાબદારી પણ તેઓના શિરે છે. ત્યારે અનિલ મુકીમના અભિગમ પર સૌની નજર રહેશે. ધારાસભ્ય પછી હવે ભાજપના જ સાંસદ મનસુખ વસાવા બહાર આવ્યાં છે. આદિવાસીની જમીનના મુદ્દે લડત આપવાની તૈયારી કરી છે. ખોટા પ્રમાણપત્ર અંગે તેઓએ આદિવાસી પ્રજાને ન્યાય આપવાની માગ કરી છે..ત્યારે હવે પ્રજા હિતમાં આ અંગે સરકારનું વલણ શું રહેશે, એ જોવાનું રહેશે.
અરૂણ શાહ , મંતવ્યન્યૂઝ , અમદાવાદ…..