Government Scheme for Donkey Farming: સાંભળીને તમને થોડી નવાઈ લાગશે, પણ આ વાત સો ટકા સાચી છે. જો તમે ગધેડા, ઘોડા કે ઊંટ પાળવાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ તો કેન્દ્ર સરકાર તમને 50 લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ કરશે. દેશમાં ગધેડાઓની ઘટતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય પશુધન મિશન (National Livestock Mission – NLM) હેઠળ આ મોટો નિર્ણય લીધો છે.
ગધેડાઓની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો
સરકારી આંકડા (2019ની 20મી પશુગણના) મુજબ, ભારતમાં હવે માત્ર 1.23 લાખ ગધેડા જ બચ્યા છે. 2012થી અત્યાર સુધીમાં તેમની સંખ્યામાં ૬૦% નો ઘટાડો નોંધાયો છે. પહેલા ગધેડાઓનો ઉપયોગ વજન ઊંચકવા કે ઈંટો ઉપાડવા થતો હતો, જે હવે ઓછો થઈ ગયો છે. આથી સરકાર તેમની નસ્લ બચાવવા માટે આ પ્રોત્સાહન આપી રહી છે.

Donkey Farming યોજના શું છે? કેટલા રૂપિયા મળશે?
કેન્દ્ર સરકારની NLM યોજના હેઠળ જો કોઈ વ્યક્તિ, ખેડૂત સંગઠન (FPO), સેલ્ફ હેલ્પ ગ્રુપ (SHG) કે કંપની ગધેડા, ઘોડા કે ઊંટ પાલનનો પ્રોજેક્ટ શરૂ કરે છે, તો તેને પ્રોજેક્ટના કુલ ખર્ચના 50% સબસિડી આપવામાં આવશે. આ યોજના અંતર્ગત લાભાર્થીને મહત્તમ 50 લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે. ઉદાહરણ તરીકે સમજાવવું હોય તો, જો તમારો પ્રોજેક્ટ 1 કરોડ રૂપિયાનો હોય, તો સરકાર તમને સીધી 50 લાખ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડશે.
શરતો અને નિયમો: કોને મળશે લાભ?
આ યોજનાનો લાભ લેવા માટે સરકારે ચોક્કસ યુનિટ સાઈઝ નક્કી કરી છે, જેમાં ગધેડા પાલન માટે તમારી પાસે ઓછામાં ઓછી ૫૦ માદા અને ૫ નર ગધેડા (માત્ર સ્વદેશી નસ્લ) હોવા અનિવાર્ય છે. તેવી જ રીતે, ઘોડા પાલન માટે 10 માદા અને 2 નર ઘોડાની સંખ્યા રાખવી પડશે, જ્યારે ઊંટ પાલન માટે યુનિટ સાઈઝ મુજબ 3 લાખથી લઈને 50 લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે. આ યોજના હેઠળ સબસિડીની રકમ બે હપ્તામાં ચૂકવવામાં આવે છે, જેમાં પ્રથમ હપ્તો બેંક લોન મંજૂર થાય ત્યારે અને બીજો હપ્તો પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ આપવામાં આવે છે.
ગધેડીના દૂધની વધતી માંગ
તમને જણાવી દઈએ કે ગધેડીનું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. તેના દૂધમાંથી બ્યુટી પ્રોડક્ટ્સ અને દવાઓ પણ બને છે. બાબા રામદેવે પણ થોડા સમય પહેલા ગધેડીના દૂધના વખાણ કર્યા હતા. એક સરકારી સંસ્થાએ તો FSSAI પાસે ગધેડીના દૂધને ફૂડ આઈટમમાં સામેલ કરવાની માંગ પણ કરી છે.
કયા રાજ્યોમાં સૌથી વધુ ગધેડા છે?
ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં ગધેડાઓની સંખ્યા નોંધપાત્ર છે. આ યોજના ગુજરાતના પશુપાલકો માટે કમાણીની નવી તક બની શકે છે.
અરજી કેવી રીતે કરવી?
જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો સત્તાવાર વેબસાઇટ nlm.udyamimitra.in પર જઈને ઓનલાઇન અરજી કરી શકો છો. તમે બેંક લોન લઈને પણ આ પ્રોજેક્ટ શરૂ કરી શકો છો, જેમાં સરકાર સીધી સબસિડી આપશે.
આ પણ વાંચો: ગુજરાત બજેટ પર કોંગ્રેસની પ્રતિક્રિયા, દેવા માંફી, વિધવા-વૃદ્ધ પેન્શનની પેંશનની જાહેરાત નહીં
આ પણ વાંચો: ગુજરાત બજેટ 2026-27: 3.15 લાખ નવા આવાસ, ગરીબોને મફત અનાજ યથાવત રહેેશે
આ પણ વાંચો: રાજ્યના વર્ષ 2026-27ના બજેટને આવકારતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

