દેશમાં કોરોનાની વકરી રહેલી પરિસ્થિતિ વચ્ચે જો પરિસ્થિતિને કાબુમાં લેવી હોય તો સૌથી વધારે મહત્વની સેવા હોય તો તે તબીબોની છે. ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં કોરોનાની સ્થિતિને કાબુમાં લેવા માટે તબીબોની સંખ્યા જોઈએ તેટલી જોવા મળી રહી નથી.દેશમાં કોરોનાની વિકટ સ્થિતિ વચ્ચે સરકારી મેડિકલ કોલેજોમાં તબીબોની ઘટ્ટની ફરિયાદો ઊઠી છે. તે સામે નેશનલ મેડિકલ કમીશને વિદ્યાર્થીઓના ઇન્ટર્નશિપથી માંડીને ફરજો-કામગીરી સુધીના મુદ્દે અનેક મહત્વના બદલાવ કર્યા છે. જે અંતર્ગત મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની ઇન્ટર્નશીપ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. દરમિયાન વિદ્યાર્થીઓને જનરલ અને કોમ્યુનિટી મેડિસીન વિભાગમાં ફરજિયાત બે-બે માસ ઇન્ટર્નશીપ કરવી જ પડશે એવો મત આપ્યો છે.
દેશમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે સેવા બજાવી રહેલા તબીબો પણ કોરોનાની ઝપેટે ચડી રહ્યા છે અને વિવિધ પડકારોનો સામનો કરી રહ્યા છે,ગુજરાતમાં મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ એમબીબીએસ કર્યા બાદ જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવવાની સાથે એક વર્ષની ઇન્ટર્નશીપ કરે છે અને ત્યાર બાદ જ નીટ-પીજી માટે લાયક ગણાય છે. જોકે, હાલના તબક્કે એમબીબીએસ અંતિમ વર્ષમાં વિદ્યાર્થીઓએ ઇન્ટર્નશીપથી માંડીને હોસ્પિટલોમાં કોવીડ કામગીરી મુદ્દે અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.બીજીબાજુએ નેશનલ મેડિકલ કમિશને ઇન્ટર્નશીપ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.
માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ, કોવીડ સ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓની ઘટ નિવારવા માટે વિવિધ વિભાગો અને જગ્યાઓ પર ફરજિયાત રોટેટીંગ પ્રક્રિયા સાથે ઇન્ટર્નશીપ કરવાની રહેશે. તેમાં જનરલ મેડિસીન(સાઇકીયાટ્રી સહિત)માં ૨ મહિના, કોમ્યુનિટી મેડિસીન-પબ્લીક હેલ્થમાં ૨ મહિના અને કેઝયુલિટી-ઇમરર્જન્સી મેડિસીન-ક્રિટીકલ કેરમાં ૧૫ દિવસની ફરજ બજાવવાની રહેશે.આમ, અન્ય વિભાગો સાથે આ ત્રણ વિભાગો પર ઇન્ટર્નશીપ દરમિયાન વધુ ભાર આપવાનું જણાવાયું છે. જ્યારે નીટ પીજી ચાર મહિના લંબાઇ જતાં હવે નવા વિદ્યાર્થીઓ ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓએ કામગીરી કરવાની રહેશે. નેશનલ મેડિકલ કાઉન્સિલની આ કવાયતના કારણે આગામી સમયમાં ડોક્ટરોની ઘટ પડશે નહીં અને પુરતા પ્રમાણમાં ડોક્ટરો મળી રહે તેવી શક્યતા છે.