અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે નવરાત્રી મહોત્સવ અન્વયે સમગ્ર અમદાવાદ શહેરમાં પાર્ટી પ્લોટ, કલબો, શેરીઓમાં ગરબાનું આયોજન થતું હોય, આ દરમ્યાન સામાન્ય જનતા ભયમુકત રીતે તહેવાર માણી શકે તથા સ્ત્રીઓની છેડતીના બનાવો ન બને, જેથી સ્ત્રીઓ સુરક્ષા અનુભવે તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એકશન પ્લાન ઘડી કાઢી અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલીંગ બંદોબસ્ત જાળવી આવા કોઇ બનાવો ન બને તે માટે સુચના કરેલ.
જે આધારે સંયુક્ત પોલીસ કમિશ્નર ક્રાઇમ બ્રાંચ અને નાયબ પોલીસ કમિશ્નર ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં ડીકોય તથા બંદોબસ્તની ટીમોએ ખાણી પીણીના બજારો, જાહેર જગ્યાઓ તેમજ કલબો અને વિવિધ ગરબાવાળી જગ્યાઓએ વોચ ગોઠવેલ.
તેમજ અમદાવાદના તમામ પો.સ્ટે.ના અધિકારીઓ દ્વારા ગરબાના આયોજકો સાથે અવાર નવાર મુલાકાત કરી તહેવાર સારી રીતે ઉજવાય તે સારૂ જરૂરી સુચનોનુ આદાન પ્રદાન કરી વ્યવસ્થા ગોઠવવાની તજવીજ કરી. જેના ભાગ રૂપે ગરબાના આયોજકોએ ટ્રાફીકની વ્યવસ્થાને ધ્યાને રાખી પોલીસ અધિકારીના સંપર્કમાં રહી વાહન પાર્કિંગની વ્યવસ્થા ગોઠવી ટ્રાફીકની સમસ્યા નિવારેલ છે.
આ દરમ્યાન અમદાવાદ શહેર પોલીસ કર્મચારીઓએ ટ્રેડીશનલ ડ્રેસમાં ડીકોય ગોઠવતા કુલ 278 ઈસમોને ઝડપી તેઓ વિરુધ્ધ સ્ત્રીની ગરીમાને ના છાઝે તેવા વર્તન બદલ કાયદેસર ગુનો રજીસ્ટર કરી તપાસ હાથ ધરવામાં આવેલ છે.
દારૂની બદ્દી અંગે પણ ડ્રાઈવનુ આયોજન કરવામાં આવેલ કે જેના ફળસ્વરૂપે 438 ઈસમો દારુ પીધેલ હાલતમાં મળી આવતા અમદાવાદ પોલીસ કર્મચારીઓએ તેઓ વિરુધ્ધમાં પ્રોહી. એકટ અનુસંધાને ગુનો નોધી તપાસ હાથ ધરવામાં આવેલ છે. આમ તા,10/10/2018 થી 18/10/2018 નવરાત્રી મહોત્સવ દરમ્યાન 278 ઈસમો વિરુધ્ધ સ્ત્રીની ગરીમાને ન છાઝે તે વર્તન માટે તેમજ 438 ઈસમો વિરુધ્ધ પ્રોહી. એકટ અનુસંધાને ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આયોજકોના સહયોગથી પોલીસ સફળ રહેલ છે.
આમ, પોલીસ અધિકારીઓ તેમજ આયોજકોના સંયુકત પ્રયત્નથી શહેરમાં શાંતિ પૂર્ણ માહોલમાં નવરાત્રીનો તહેવાર પાર પાડેલ છે.