અમદાવાદ
પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની CID ક્રાઈમે અટકાયત બાદ ધરપકડ કરી હતી. સીઆઈડીના એડિશનિલ ડીજીપી તોમરે જણાવ્યું હતું કે, સંજીવ ભટ્ટને અરેસ્ટ પુછપરછ માટે બોલાવવામાં આવ્યા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. 1996માં વકીલ પર એનડીપીએસના કેસ કરવાના મામલે તેમની ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસ દરમિયાન તેઓ બનાસકાંઠાના એસપી હતા. તેમની સાથે પીઆઈ વ્યાસ સહિત કુલ 7 જેટલા અન્ય પોલીસ અધિકારીઓની પણ અટકાયાત કરવામાં આવી હતી.
રાજપુરોહિતના રુમમાંથી 1 કિલો અફીણ મળી આવ્યું હતું.
1996ના મે મહિનામાં બનાસકાંઠા પોલીસે રાજસ્થાનના પાલી ખાતે રહેતા વકીલ સુમેરસિંહ રાજપુરોહિતની ધરપકડ કરવામાં આવી હતી. રાજપુરોહિતની પાલનપુરની એક હોટેલમાંથી ધરપકડ કરી હતી.
પોલીસના તે સમયના રિપોર્ટ અનુસાર રાજપુરોહિતના રુમમાંથી 1 કિલો અફીણ મળી આવ્યું હતું. જોકે, પોલીસ દ્વારા કરવામાં આવેલી ઓળખ પરેડમાં હોટેલ માલિક રાજપુરોહિતને ઓળખી શક્યા નહોતા. જે બાદ પોલીસે તાત્કાલીક તેમના ડિસ્ચાર્જ માટે ખાસ કોર્ટમાં રિપોર્ટ મૂક્યો હતો.
કોર્ટે આ રિપોર્ટને એક અઠવાડિયા બાદ મંજૂર રાખ્યો હતો. તે પછી રાજપુરોહિતે પાલી ખાતે જસ્ટિસ આર.આર. જૈન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બનાવ વખતે તેઓ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હતા. સંજીવ ભટ્ટ એ સમયે બનાસકાંઠા જિલ્લાના SP હતા.
રાજપુરોહિતે આરોપ મૂક્યો હતો કે પાલી ખાતે જસ્ટિસ આર.આર.જૈનની બહેનની દુકાન ખાલી કરાવવા મામલે બનાસકાંઠા પોલીસે તેનું અપહરણ કર્યું હતું. જે બાદ રાજસ્થાન પોલીસે આ કેસમાં તપાસ કરતા જસ્ટિસ જૈન, સંજીવ ભટ્ટ અન અન્ય લોકોના કોલ રેકોર્ડ તપસ્યા હતા. જેમાં રાજપુરોહીતના આરોપને પ્રમાણિત કરતા પૂરાવા આપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટ દેશના પ્રસિદ્ધ પોલીસ અધિકારીઓમાંથી એક માનવામાં આવે છે. વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના સી.એમ હતા તે દરમિયાન પણ સંજીવ ભટ્ટ અને મોદી વચ્ચે સંબંધો સારા ન હોવાથી અનેક વાર ચર્ચામાં આવી ચૂક્યા છે.
સંજીવ ભટ્ટ અનેક વાર સરકારના વિરોધમાં નિવેદનો આપાવાના કારણે પણ ચર્ચામાં આવ્યા હતા. તો એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે, ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને મળવા માટે સંજીવ ભટ્ટ ગયા હતા અને તેને કારણે તેમના પર ગાળિયો કસાયો છે.