નવી દિલ્લી,
કેન્દ્ર સરકારનાં ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટ મંત્રાલય દ્વારા ટીવી ચેનલોને એક એડવાઇઝરી જાહેર કરીને ‘દલિત’ શબ્દનો વપરાશ ન કરવા માટે સલાહ આપવામાં આવી છે. મુંબઈ હાઈ કોર્ટનાં એક ચુકાદાને ધ્યાનમાં રાખીને મંત્રાલયે આ એડવાઇઝરી બહાર પાડી છે. મંત્રાલયે દલિત શબ્દની જગ્યાએ ‘અનુસુચિત જાતિ’ શબ્દનો ઉપયોગ કરવા માટે કહ્યું છે.દલિત શબ્દના ઉપયોગને લઈને પક્ષ વિપક્ષ વચ્ચે દલીલો થઇ રહી છે.
દલિત શબ્દની ઉત્પતિની વાત કરીએ તો દલિત ગૌરવનાં પ્રતિક ભીમા કોરેગાવ યુદ્ધની જેમ આ પણ બ્રિટીશ રાજ સાથે જોડાયેલું છે.ઇસ્ટ ઇન્ડિયા કંપનીના આર્મી ઓફિસર જે.જે. મોલ્સવર્થએ 1831 માં એક મરાઠી ઈંગ્લીશ ડિક્શનરીમાં આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ સિવાય દલિતના ઉદ્ધારક એવાં મહાત્મા જ્યોતિબા ફૂલેએ આ શબ્દનો ઉપયોગ કર્યો હતો અને બ્રિટીશ સરકારે આનો ઉલેખ્ખ કર્યો.
જએનયુનાં સમાજ શાસ્ત્રી વિવેક કુમાર દલિત શબ્દનાં ઈતિહાસને લઈને વાત કરી હતી કે, ‘દલિત શબ્દ બૌદ્ધ ગ્રંથ કુલુવગ્ગા વિનય પીટ્ટુકામાં પણ જોવા મળે છે.’
જોકે મોટા ભાગનાં ભારતીયો માટે આ શબ્દ બહુજન સમાજ પાર્ટીના અસ્તિત્વ બાદ ધ્યાનમાં આવ્યો છે.બીએસપીના સંસ્થાપક કાશીરામએ દેશભરમાં ભ્રમણ કર્યું અને આ શબ્દનાં ઉપયોગને આધારે જ મોટા ભાગની અનુસુચિત જાતિઓને સંઘર્ષ અને આત્મ સમ્માન માટે એકઠાં કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવાનોની વાત કરીએ તો એમનાં માટે દલિત શબ્દ 1990 નાં સમયનો છે જયારે બીએસપી પોલીટીક્સમાં આગળ આવી રહી હતી અને આ શબ્દનો ઉપયોગ કરી રહી હતી.
બીએસપીની સ્થાપનાની શરૂઆતના સમયમાં મહાત્મા ગાંધીએ અનુસુચિત જાતિ માટે આપેલા હરીજન શબ્દની પણ આલોચના કરવામાં આવી હતી. કાશીરામ હરીજન શબ્દનાં બદલે દલિત શબ્દનાં વપરાશ પર ભાર આપતા કહેતા કે, ‘જો આપણે ભગવાનની સંતાન છીએ તો શું અન્ય હિન્દુ શેતાનની સંતાન છે?’ કાશીરામ અને એમનાં સહયોગી માયાવતીએ દલિત શબ્દને ઝડપથી આગળ વધાર્યો અને જોત જોતામાં જ થોડા સમયમાં હરીજન શબ્દને બદલે દલિત શબ્દ ચલણમાં આવી ગયો.
જોકે એ પહેલાં પણ દલિત શબ્દનું અસ્તિત્વ તો હતું જ. 1972 માં નામદેવ ધસાલ અને એમનાં સાથીઓએ દલિત પેન્થર્સનું સંગઠન બનાવ્યું હતું. દલિત પેન્થર્સ અને બીએસપી એ 200 વર્ષની એ દલિત મુવમેન્ટની કળીને જ આગળ વધારવાનું કામ કર્યું છે જેમાં દલિતોને અન્યાય સહન કરવાની જગ્યાએ સંઘર્ષના રસ્તે જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.