વડોદરા,
કહેવત છે કે, એક સારો શિક્ષક સો માતાઓની ગરજ સારે છે, ત્યારે દેશભરમાં બુધવારે શિક્ષક દિનના દિવસને ખાસ રીતે મનાવવામાં આવી રહ્યો છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સર્વોપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ ૫ સપ્ટેમ્બરના દિવસને દેશભરમાં “શિક્ષક દિન” તરીકે ઓળખવામાં આવે છે.
આ ખાસ દિવસે એમે એક એવા એક શિક્ષકની વાત જણાવી રહ્યા છે જેઓએ શિક્ષણ કાર્ય સાથે અત્યાર સુધીમાં ૫ હજાર જેટલા બાળકોના વાળ અને નખ કાપી આપ્યા છે. તેઓ માત્ર બાળકોના વાળ જ નથી કાપતા પરંતુ શાળાએ આવતા બાળકોને નવડાવે પણ છે. શિક્ષક માંથી આચાર્ય બન્યા બાદ પણ આ સેવા માટે પ્રધાનમંત્રી પણ તેઓના વખાણ કરી ચુક્યા છે
રજનીકાંત રાઠોડે શિક્ષણના કાર્યને કર્યું સાર્થક
હકીકતમાં, વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા શાંતિવન ડુપ્લેક્ષમાં રહેતા અને નંદેસરી પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા શિક્ષક રજનીકાંત રાઠોડે શિક્ષણને ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યુ છે.
વડોદરાના શિક્ષક રજનીકાંત રાઠોડ છેલ્લા ૨૮ વર્ષથી શિક્ષક તરીકે સેવા બજાવે છે. તેઓ ૨૦૦૭માં જ્યારે છાણી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા ત્યારે રાજ્ય સરકારે નિર્મળ ગુજરાતનો કાર્યક્રમ બહાર પાડ્યો હતો.
રજનીકાંત રાઠોડ આ પ્રકારે કરે છે સેવાયજ્ઞનું કામ
આ સમયે શાળાના બાળકોના નખ કાપી આપવા અને કાન સાફ કરી આપવામાં આવતા હતા. જો કે તેમ છતાં શાળાના બાળકો ગંદા જ દેખાતા હતા. ત્યારે રજનીકાંતભાઇને લાગ્યુ કે વાળ કાપેલા ન હોવાને કારણે બાળકો ગંદા દેખાય છે.
રજનીકાંત રાઠોડ તરત જ એક વાળંદ મિત્ર પાસે ગયા અને તેઓએ કહ્યું કે, “મને વાળ કાપતા શિખવાડો, મારે મારા વિદ્યાર્થીઓના વાળ કાપવા છે. ત્યારબાદ તેઓ પોતે વાળ કાપતા શીખી ગયા હતા.
પીએમ મોદી કરી ચુક્યા છે વખાણ
આ સમયે તત્કાલિમન મુખ્યમંત્રી અને હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રજનીકાંતભાઇના ભરપેટ વખાણ કર્યા હતા. તેઓએ કહ્યુ હતુ કે, “વડોદરાના ગામડામાં એક શિક્ષક વિદ્યાર્થીઓના વાળ કાપીને અનોખી સેવા કરી રહ્યા છે. સાથે જ નરેન્દ્ર મોદી અને આનંદીબેન પટેલે પ્રશસ્તીપત્ર આપીને રજનીકાંત ભાઈનું સન્માન પણ કર્યુ હતુ.
રજનીકાંત રાઠોડ ૧૫ દિવસ સુધી વાળંદ મિત્રને ત્યાં ગયા અને વાળ કાપતા શિખ્યા. શરૂઆતમાં તેઓએ તેમના પોતાના બાળકના, ભાઇ અને સંબંધીઓના બાળકોના વાળ કાપતા હતા. ધીરે ધીરે તેઓને વાળ કાપવામાં ફાવટ આવી ગઇ.
પોતાની જાતે જ વિદ્યાર્થીઓના વાળ કાપવાના કર્યા શરુ
ત્યારબાદ તેઓએ વિદ્યાર્થીઓના વાળ કાપવાના શરૂ કરી દીધા. જે વિદ્યાર્થીના વાળ મોટા થઇ ગયા હોય તેમના વાળ તેઓ કાપી દેતા હતા. સાથે જ જે બાળકો સ્નાન કર્યા વિના આવે તેઓને નવડાવવામાં પણ આવતા હતા. જે છોકરા-છોકરીઓઓના શર્ટના બટન તૂટી ગયા હોય તો શિક્ષિકાઓ દ્વારા બટન પણ ટાંકી આપવામાં આવતા હતા. તો વળી છોકરો-છોકરીઓના નખ કાપી આપવામાં આવતા અને કાન પણ સાફ કરી આપવામાં આવતા હતા.
નંદેસરી ગામની પ્રાથમિક શાળામાં બજાવે છે ફરજ
છેલ્લા એક વર્ષથી રજનીકાંત રાઠોડ વડોદરા નજીક આવેલી નંદેસરી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. આ શાળામાં પણ તેઓએ બાળકોને વાળ કાપી આપવાથી લઇને તમામ પ્રવૃતિઓને જાળવી રાખી છે. તેઓ શાળામાં આવતા મધ્યાહન ભોજનને સૌથી પહેલા પોતે ચાખી લે છે ત્યારબાદ તેમની શાળાના વિદ્યાર્થીઓ ભોજન લે છે. જેના કારણે તેમની શાળાના બાળકોને મળતુ ભોજન સારૂ મળે છે તેની ખાત્રી કરી શકાય છે.
આ સાથે જ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે દવાની પણ વ્યવસ્થા શાળામાં જ કરવામાં આવેલી છે.
શિક્ષક હોવાના નાતે સમાજની સેવાથી નથી રહી શકતો અલિપ્ત
રજનીકાંત રાઠોડે મંતવ્ય ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, “હું એક શિક્ષક છું અને શિક્ષક હોવાના નાતે સમાજની સેવાથી અલિપ્ત રહી શકતો નથી. મારૂ મુખ્ય કર્તવ્ય એ છે કે, જે બાળકો મારા વિદ્યાર્થીઓ છે, તે તંદુરસ્ત હશે તો સારા ભારતનું નિર્માણ થશે અને તેના માટે બાળકના સર્વાગી વિકાસની જરૂર છે”.
નંદેસરી શાળાના શિક્ષિકા સોનલબેન ભોઇએ જણાવ્યુ હતુ કે, “રજનીકાંતભાઇ અમારી શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે, પરંતુ તેઓની કામગીરી ખુબ જ સરસ છે.અહી આવતા તમામ બાળકો સ્લમ વિસ્તારમાંથી આવતા હોય છે. તેઓ શાળાએ આવતા બાળકોના વાળ કાપી દે છે અને તેઓને નવડાવી પણ દે છે. અમે લોકો વિદ્યાર્થીઓના નખ કાપી આપીએ છીએ સાથે જ બાળકોના બટન ટાંકી આપવાની કામગીરી પણ કરીએ છીએ”.
નંદેસરી પ્રાથમિક શાળાના આસિસ્ટન્ટ પ્રિન્સીપાલ નૈનાબેન ઠક્કરે રજનીકાંત ભાઈ ના વખાણ કરતા જણાવ્યું હતું કે તેઓ આ શાળા ના વિકાસ માટે રાત દિવસ કામ કરે છે.અને શાળાના બાળકો માટે તો જાણે જીવ આપી દેવા પણ તેઓ તૈયાર રહે છે અને તેઓ સ્વચ્છતા અભિયાન ઝુંબેશ અગાઉ પણ સ્વચ્છતા ના એટલા જ આગ્રહી હતા અને બાળકો ને શાળા ધ્વારા સ્વચ્છતા પ્રત્યે ખાસ જાગૃત કરવા તમામ સ્ટાફ તેઓને સાથ સહકાર આપે છે