અમદાવાદ: અમદાવાદ શહેરમાં દિન-પ્રતિદિન નવજાત શિશુઓને ત્યજી દેવાના કિસ્સાઓ વધારે પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. આ સંજોગોમાં સોમવારે સવારે શહેરના રખિયાલ વિસ્તારમાં એક રિક્ષા ચાલકને પોતાના ઘરની નજીક કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ડોલમાં એક નવજાત બાળકીને ત્યજી દીધેલી હાલતમાં મળી આવી હતી. આ મામલે રીક્ષા ચાલકે રખિયાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ઘટના અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલી મહાગુજરાત બેકરીની પાસે રહેતા એક રિક્ષા ચાલકે સોમવારે સવારે આઠ વાગ્યાના સુમારે એક ડોલમાંથી એક નવજાત બાળકી મળી આવી હતી.
આ રિક્ષા ચાલકે આ ઘટના અંગે પોલીસને વધુમાં જણાવ્યું હતું કે, ‘ સોમવારે સવારે આઠેક વાગ્યાના સુમારે અમારી ચાલીની બહાર નાના બાળકના રડવાનો અવાજ આવતો હતો. જેથી અમે આસપાસમાં રહેતા તમામ લોકો એકઠાં થઈ ગયા હતાં.
અમે જોયું તો આ અવાજ અમારી ચાલીમાં આવેલી પાતળી ગલીમાં રોડ પર પડેલી એક ડોલમાંથી આવતો હતો. જેથી અમે ત્યાં જઈને તે ડોલને તપાસતા ડોલમાંથી એક નવજાત બાળકી મળી આવી હતી. આ સમયે તે ખૂબ જ રડી રહી હતી.
જેના લીધે અમે આસપાસના વિસ્તારમાં આ બાળકીના વાલી વારસ અને તપાસ કરાવી હતી કે, આ કોની બાળકી છે? પરંતુ આ બાળકીના વાલી વારસની કોઇ જ ભાળ ન મળી.
આ ઘટના અંગે રિક્ષા ચાલક દ્વારા રખિયાલ પોલીસ મથકમાં અજાણ્યા વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધીને આ મામલે તપાસ હાથ ધરી છે.