આણંદ
આણંદના ખંભાત તાલુકામાં શ્રદ્ધા હોસ્પિટલમાં એનેસ્થેટીસ્ટ તબીબની કથીત બેદરકારીથી પાંચ વર્ષનાં બાળકનું મોત નિપજ્યું હતું. આથી પરિવારજનોએ હોસ્પીટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. જેને લઈને પોલીસે આ બનાવ અંગે અપમૃત્યુની નોંધ કરી હતી.
કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં પેનલ ડોકટર દ્વારા બાળકનાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને પોસ્ટમોર્ટમનાં રીપોર્ટ બાદ કસુરવારો સામે પગલાં ભરવાની ખાતરી આપવામાં આવ્યા બાદ પરિવાજનો શાંત પડતા મામલો થાળે પડયો હતો.
ખંભાત તાલુકાના ભુવેલ ગામનો 5 વર્ષીય મોહિત પરમાર ઘરમાં પડી જતા તેને જમણા પગમાં ફ્રેક્ચર થયું હતુ. જેને લઇ પરિવારજનોએ બોરસદ સ્થિત શ્રદ્ધા હોસ્પિટલ ખાતે ઓપરેશન માટે ખસેડાયો હતો.
મૃતકના પરિવારજનો કહેવું છે કે, જ્યાં તેનું ઓપરેશન કરવાનો નિર્ણય લીધા બાદ એનેસ્થેસિયા તબીબી ડિમ્પલ પટેલનો સંપર્ક કરી તેમને બોલાવવામાં આવ્યા હતા બાળકને એનેસ્થેસિયા આપ્યા બાદ અંદાજિત 45 મિનિટ ઓપરેશન ચાલ્યું હતું. જોકે ત્યાર બાદ બાળક ભાનમાં નહિ આવતા તેને ભાનમાં લાવવા પ્રયાસ કરવામાં આવ્યા હતા જોકે 18 કલાક બાદ એનેસ્થેસિયા તબીબ દ્વારા હાથ અધ્ધર કરી દેતા બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
પરિવારજનો વધુમાં જણાવ્યું હતું કે બાળકને શ્રધ્ધા હોસ્પીટલથી પીએમ માટે લઇ જવા માટે બાળકની લાશને એમ્બ્યુલન્સમાં નહિ પણ ભાડાની રિક્ષામાં બોરસદમાં આવેલ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવાની ફરજ પડી હતી. જ્યાં સરકારી હોસ્પિટલમાં પેનલ પીએમની સુવિધા ન હોવાથી બાળકની લાશને કરમસદની સરકારી હોસ્પિટલ લઇ જવા માટેની ફરજ પડી હતી પણ એમ્બ્યુલન્સની સુવિધા ત્યાં પણ ન મળતા મોહિતના પરિવારજનો દ્વારા લાશને કરમસદ પહોંચાડવા માટે મિત્રની કારની મદદ લેવી પડી હતી.