અમદાવાદ: Gujarat વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી મહિનામાં એટલે કે સપ્ટેમ્બર મહિનામાં બે દિવસ માટે બોલવવામાં આવ્યું છે. આ બે દિવસના ટૂંકા સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા મગફળી કાંડ, પાકવીમો, નર્મદાના સિંચાઈના પાણી, સહિતના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવશે. જો કે, આ બે દિવસના ટૂંકા સત્રમાં પ્રથમ દિવસે પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલજી સહીતના પૂર્વ વિધાનસભાના સભ્યોને શ્રદ્ધાંજલિ આપીને ગૃહ મુલતવી રાખવામાં આવશે. ત્યાર બાદ બાકી બચેલા એક દિવસમાં બાકીની કામગીરી આટોપી લેવામાં આવશે.
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી તા.18 અને 19 સપ્ટેમ્બર એમ બે દિવસ માટે બોલાવવામાં આવ્યું છે. ગુજરાતની વર્તમાન રૂપાણી સરકારનું પ્રથમ ચોમાસુ સત્ર મળશે. આ બે દિવસના ટૂંકા ચોમાસા સત્ર દરમિયાન પ્રથમ દિવસે ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી તેમજ પૂર્વ વિધાનસભાના સદસ્યોને શ્રધ્ધાંજલિ આપવામાં આવશે. દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવ્યા બાદ પ્રથમ દિવસની કામગીરી મુલત્વી રહેશે. જયારે બીજા દિવસે ગૃહમાં ચાર જેટલા વિધેયકોનું સરકારી કામકાજ હાથ ધરવામાં આવશે તેમ પ્રાથમિક પત્રકમાં દર્શાવવામાં આવ્યું છે.
નવી રૂપાણી સરકારનું આ પ્રથમ સત્ર ફકત બે દિવસ માટે જ બોલાવવામાં આવ્યું છે. સાંપ્રતકાળમાં રાજ્ય સરકાર મગફળી કાંડ, પાક વીમો, નર્મદા સિંચાઈના પાણી જેવા લોક પ્રશ્નોથી બચવા માટે આ સત્ર ટૂંકુ બોલાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આ બન્ને દિવસમાં વિપક્ષ દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરીને આક્રમણ કરશે તે વાત સુનિશ્ચિત બની છે.
હવે બે દિવસના ટૂંકા સત્રના અંતિમ દિવસે ચાર જેટલા સરકારી વિધેયકો દાખલ કરવામા આવે તેવી સંભાવના છે. આ ઉપરાંત આ ટૂંકા સત્રમાં મુખ્યમંત્રી દ્વારા રાજ્યમાં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણીના કાર્યક્રમોની પણ જાહેરાત કરવામાં આવશે એવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.
જયારે બીજી તરફ વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સરકાર બે દિવસનું સત્ર બોલાવીને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માંગતી નથી અને લોકોના પ્રશ્નોથી દૂર ભાગી રહી છે.