અમદાવાદ: આપણા ૠષિ- મુનિઓ આયુર્વેદિક ગ્રંથોમાં ઔષધિઓની હજારો ફોર્મ્યુલાનો ભવ્ય વારસો આપતા ગયા છે તેને વૈજ્ઞાનિક સ્વરૂપે આધુનિક જમાનાને અનુરૂપ બનાવવી એ જ નવોદિત ફાર્મા વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો માટે સૌથી મોટી ચેલેન્જ છે એવું ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)ના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠે હર્બલ દવાઓની આંતરરાષ્ટ્રીય બજાર સ્થિતિ વિશે યોજવામાં આવી રહેલી પરિષદમાં જણાવ્યું હતું.
GTU ના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠે એલ.એમ. ફાર્મસી કૉલેજના ઉપક્રમે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાઈ રહેલી ત્રિદિવસીય પરિષદમાં જણાવ્યું હતું કે હું એલ.એમ. ફાર્મસી કૉલેજમાં અભ્યાસ કરી ચૂક્યો છું. મને એ બાબતનો ગર્વ છે કે આ કૉલેજના કારણે ગુજરાત દવા ઉત્પાદનમાં અગ્રેસર બન્યું છે.
હવે વિશ્વમાં આયુર્વેદિક ઔષધો વધુને વધુ પ્રમાણમાં લોકપ્રિય બની રહ્યા છે. એટલું જ નહિ આગામી સમયમાં તેનો વપરાશ વધવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, ત્યારે એલ.એમ.ફાર્મસી કૉલેજ તરફથી યોજવામાં આવેલી આ આયુર્વેદ વિશેની આંતરરાષ્ટ્રીય પરિષદ ખરેખર ઉપયોગી બની રહેશે. હાલમાં વિશ્વના હર્બલ બજારમાં ભારતનો હિસ્સો દસ ટકા છે, જ્યારે ચીનનો હિસ્સો ૧૮થી ૨૦ ટકા છે.
अमंत्रमक्षरं नास्ति नास्ति मूलमनौषधम् । अयोग्यः पुरुषो नास्ति योजकस्तत्र दुर्लभः॥
મંત્ર ન હોય એવો કોઈ નાદ નથી ઔષધિ તરીકે કામ ન આવે એવી કોઈ વનસ્પતિ નથી. ઉપયોગી ન હોય એવી કોઈ વ્યક્તિ નથી, જરૂર છે યોગ્ય અભિગમ અપનાવવાની.
આ પરિષદમાં ફાર્મેન્ઝા હર્બલ પ્રાઈવેટ લિમિટેડના નિયામક ડૉ. લાલ હિંગોરાનીએ જણાવ્યું હતું કે હર્બલ બિઝનેસના વિકાસની ઉજળી તકો છે. આયુર્વેદના ગ્રંથોમાં રહેલા ખજાનાને વૈશ્વિક ધારાધોરણો મુજબના બનાવવામાં આવે તો તેની ભરપૂર માંગ વધી છે. પરિષદમાં ૪૫૦ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં અમેરિકા, મલેશિયા અને થાઈલેન્ડના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.