નવસારી જીલ્લાના વિજલપોર માં પાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો છે. અવિશ્વાસની દરખાસ્તને લઈ ગુપ્ત મતદાન કરવા જણાવતા હોબાળો થયો છે. ભાજપ અને કોંગ્રેસના પાલિકા સભ્યો સામસામે આવી જતા મામલો ગરમાયો હતો. 14 કોર્પોરેટરે પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરી હતી.
દરખાસ્ત બાદ પોલીસે પાલીકા પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દિધો. વિજલપોર નગરપાલિકામાં છેલ્લાં દોઢ-બે મહિનાથી શાસક ભાજપમાં બે જૂથ પડી ગયા હતાં. જેમાં એક જુથમાં પાલિકા પ્રમુખ જગદીશ મોદી, કારોબારી ચેરમેન પ્રકાશ પાટીલ તથા અન્યો છે, તો બીજા જુથમાં પાલિકા ઉપપ્રમુખ સંતોષ પુંડકર, શાસક પક્ષના નેતા મહેન્દ્ર ટંડેલ તથા અન્યો છે.
બે જુથો વચ્ચે જન્માષ્ટમી પર્વે વિવાદ વકર્યો હતો, જેને પગલે 11મી સપ્ટેમ્બરે તો નારાજ ગ્રુપનાં મહેન્દ્ર ટંડેલ સહિતના 13 પાલિકાનાં કાઉન્સીલરોએ પાલિકા પ્રમુખ જગદીશ મોદી સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી દીધી હતી. અવિશ્વાસની દરખાસ્ત દાખલ થયા બાદ પણ ભાજપ મોવડીમંડળે સમાધાનના પ્રયાસ કર્યા હતાં.