અમદાવાદ: રાજકોટ જિલ્લા પંચાયતમાં સત્તાની ખુરશી હાંસલ કરવા માટે કોંગ્રેસ અને BJP વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ દરમિયાન આજે કોંગ્રેસના અસંતુષ્ટ સદસ્યોને લઈને ભાજપના આગેવાનો અને કાર્યકરો બસ લઈને રાજકોટ આવ્યા હતા. આ સમયે ભાજપના એક કાર્યકરને હાર્ટએટેક આવતા તેનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.
રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પાસે બહુમતી હોવાથી સત્તાની ખુરશી તેની પાસે હતી. પરંતુ કોંગ્રેસના જસદણના ધારાસભ્ય અને સિનિયર નેતા કુંવરજી બાવળિયા પક્ષથી નારાજ થઈને ધારાસભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપમાં જોડાયા બાદ ગણતરીના કલાકોમાં તેમને કેબિનેટ કક્ષાનું મંત્રી પદ મળ્યું હતું.
કેબિનેટ મંત્રી પદ ફાળવ્યા બાદ કુંવરજી બાવળિયા ભાજપ પ્રત્યેની વફાદારી સાબિત કરવામાં માટે રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્યોને તોડીને ભાજપમાં ભેળવવીને ભાજપને રાજકોટ જિલ્લા પંચાયત આપવાનું વચન આપ્યાનું સર્વવિદિત છે.
જેના ભાગરૂપે કોંગ્રેસના 32 પૈકીના નારાજ 21 સદસ્યોને ભાજપના આગેવાનો અને કાર્યકરો રાજસ્થાન લઈ ગયા હતા. કોંગ્રેસના સદસ્યોને લઈને ભાજપના આગેવાનો અને કાર્યકરો આજે સવારે રાજકોટ જિલ્લા પંચાયત આવી પહોંચ્યા હતા.
આ દરમિયાન રાજકોટ જિલ્લા પંચાયત પરિસરમાં ભારે ઉત્તેજનાપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. પંચાયતમાં છ કમિટીના ચેરમેનની વરણી કરવાનો એજન્ડા હતો. આ સાથે કોંગ્રેસના નારાજ સભ્યો ભાજપની તરફેણમાં મતદાન કરવાના હતા. જેથી ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી હતી.
આ દરમિયાન ભાજપના રમેશ તાળા નામનો એક કાર્યકર અચાનક બેભાન થઈ જતાં લથડિયા ખાઈને નીચે પડી ગયા હતા. જેના કારણે ઉપસ્થિત લોકોએ તેને તપાસતા તેનું મોત નીપજ્યું હતું. આ અંગે તબીબે તપાસ કરતા તેને હાર્ટએટેક આવ્યો હોવાનું બહાર આવ્યું હતું.
આમ રાજકોટ જિલ્લા પંચાયતમાં સત્તાની સાંઠમારીમાં ભાજપના એક કાર્યકરનું મોત નીપજ્યું હોવાનો બનાવ બન્યો છે.