મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની કામગીરીથી નારાજ કાર્યકરોએ આ અંગેની ફરિયાદ હાઈકમાન્ડ સુધી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
છેલ્લા છ મહિનાથી ગુજરાતમાં કૌભાંડો અને ગેરરીતિઓની અનેક ફરિયાદો બહાર આવી છે, જેમાં સીધી કે આડકતરી રીતે ભાજપના આગેવાનોના નામ બહાર આવે છે. જેથી ભાજપના કાર્યકરોને પ્રજાના પ્રશ્નોના જવાબ આપવામાં મુશ્કેલી ઉભી થઇ રહી છે.
જોકે, આ અંગે પ્રદેશના નેતાઓને પણ ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ ત્યાંથી પણ કોઈ ઉકેલ ન આવતા કાર્યકરોને હાઇકમાન્ડ સુધી ફરિયાદ કરવા મજબુર થવું પડ્યું હતું. સરકાર દ્વારા યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમોમાં કાર્યકર્તાઓને ફરજીયાત બોલાવવામાં આવે છે, જેથી એમને ધંધો-નોકરી છોડીને આવવું પડે છે.
આ અંગે કેટલાક કાર્યકરોનું કહેવું છે કે, સંગઠન અને સરકાર ચોક્કસ વ્યક્તિઓ દ્વારા ચલાવવામાં આવે છે. જેના કારણે સામાન્ય કાર્યકરનો અનાદર થઈ રહ્યો છે.