અમદાવાદ
અમદાવાદથી નાસીક જઈ રહેલી સરકારી બસને ડાંગ જિલ્લાના વઘઈ થી સાપુતારા માર્ગ ઉપર આહેરડી નજીક મોડી રાત્રે બસ ખાઈમાં પડતા તેમાં સવાર ૨૦ થી વધુ મુસાફરો ને ઈજા પહોંચી હતી. આથી તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
આપને જણાવી દઈએ કે ગત રાત્રે અમદાવાદ થી નાસીક જઈ રહેલી એક સરકારી બસને ડાંગ જિલ્લાના વઘઈથી સાપુતારા માર્ગ ઉપર આહેરડી ગામ નજીક ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા બસ ખીણમાં ખાબકી પડી હતી. જેને પગલે બસમાં સવાર ૨૦ થી વધુ મુસાફરોને ઈજા થઇ હતી.
મહત્વનું છે કે ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક ૧૦૮માં નજીકના વઘઈ, સાકરપાટળ અને વાંસદા ખાતે સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે કેટલાક લોકોને વલસાડની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે સાપુતારા પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી આવી હતી અને ત્યારબાદ વધુ તપાસ હાથ ધરી હતી
ઉલ્લેખનીય છે કે ડાંગ નજીક બે દિવસમાં બસની આ બીજી દુર્ઘટના સર્જાઈ હતી. તો ડાંગના ધારાસભ્ય મંગળ ગાવીતે આ અંગે સરકાર પર પ્રહારો કરી સરકારી બસોનું જાળવણી થવાના કારણે આવી ઘટનાઓ દિવસે અને દિવસે વધી રહી હોવાનું જણાવ્યું હતું.