દેશ-દુનિયા સહિત કોરોનાનાં હાહાકારને ધ્યાનમાં રાખીને ઇતિહાસમાં પહેલીવાર ગાંધીનગરનાં રૂપાલમાં વરદાયની માતાની પલ્લી નહીં કાઢવામાં આવે. ભારે અટકળો અને ચર્ચા વિચાર કર્યા બાદ રૂપાલની પલ્લી નહીં કાઢવાનો નિર્ણય સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે. આ મામલે વાત કરતા રાજ્યનાં ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે રૂપાલની વરદાયિની માતાની પલ્લી વિશે મોટી જાહેરાત કરી હતી. પટેલે કહ્યું હતું કે, રૂપાલની પલ્લી નીકળશે કે નહીં તે સવાલના જવાબ પર પૂર્ણવિરામ મૂકાયું છે. આ વર્ષે રુપાલમાં પલ્લી યોજવામાં નહી આવે.
બીજી તરફ આવતીકાલે બપોરે 12 વાગ્યાથી રૂપાલ ગામમાં કોઇને પણ પ્રવેશ કરવા દેવામાં નહિ આવે. તેમજ આવશ્યક ચીજવસ્તુઓ સિવાય ગામમાં તમામ વસ્તુઓની દુકાનો બંધ રાખવાનો આદેશ પણ સરકાર દ્વારા આપી દેવામાં આવ્યો છે. ગ્રામજનોને પણ ગામની બહાર નહિ નીકળવાનો રૂપાલ ગ્રામ પંચાયત દ્વારા આદેશ કરાયો છે.
રુપલની ઐતિહાસીક પલ્લી વિશેની આ જાહેરતા રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા તેમની અંબાજીની મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી.
કોરોના હોવાના કારણે રૂપાલની પલ્લીનો મેળો નહીં યોજાય તેવી જાહેરાત તંત્રએ અગાઉ કરી હતી. પરંતુ વર્ષોની પરંપરા તૂટે નહીં અને ગામ લોકોની સીમિત સંખ્યામાં પલ્લી યોજાય તેવી પુરી શકયતા જોવામાં હતી. રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી નીકળવાના અહેવાલ સામે આવતા શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો.
મહત્વનું છે કે માતાજીને ઘી ચઢાવવામાં આવે ત્યારે ગામમાં ધીની નદીઓ વહેતી હોય છે. પરંતુ કોરોનાની ગાઈડલાઈન સાથે અને પોલીસ બંદોબસ્ત સાથે નિયત રૂટ પર પલ્લી નીકળે તેવી શકયતા જોવામાં આવી હતી. નિયત રૂટ સાથે સોસિયલ ડિસ્ટન્સના પાલન સાથે ગામના તમામ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા. માત્ર ગામ લોકોની સિમિત સંખ્યામાં પલ્લી નીકળશે તેવી પુરી શકયતા જોવામાં આવી હતી.