અમદાવાદ,
મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકાર દ્વારા રાજ્યના મરાઠા સમુદાયને આપવામાં આવનારા અનામતને લઈ લીલી ઝંડી આપી દીધી છે. બીજી બાજુ ગુજરાત રાજ્યમાં પણ અનામતનો સૂર વધુ એક જોવા મળી રહ્યો છે, ત્યારે આ વચ્ચે મુખ્યમંત્રી વિજય રુપાણીનું એક નિવેદન સામે આવ્યું છે.
રાજ્યભરમાં ચાલી રહેલી અનામતની માંગ વચ્ચે CM વિજય રુપાણીએ જણાવ્યું હતું કે, “રાજ્ય સરકાર અનામત આપવાને લઈ અભ્યાસ કરશે”.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં પાટીદાર સમુદાયને અનામત આપવાને લઇ અનેકવાર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે, મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલા આ સંકેત બાદ શું પરિણામ સામે આવે છે.
મરાઠા સમુદાયને આપવામાં આવશે ૧૬ % અનામત
અત્રે ઉલ્લેખનીય છે કે, પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પછાત વર્ગ આયોગે મરાઠાઓને ૧૬ ટકા અનામત આપવાની ભલામણ કરી હતી. જો કે ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા પણ આ અંગે લીલી ઝંડી આપવામાં આવી છે.
આ પહેલા આયોગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્યમાં ૩૦ ટકા વસ્તી મરાઠાઓની છે. તેઓને સરકારી નોકરીમાં અનામતની જરુર છે.
જો કે તેની સાથે સાથે આયોગે કહ્યુ હતું કે, અનામત આપવાના કારણે ઓબીસી ક્વોટામાં કોઈ ફેરફાર કરવામાં ન આવે. જેનો અર્થ એ થયો કે જો આ ભલામણ સરકાર મંજુર કરે છે તો તમામ કેટેગરીમાં મળીને રાજ્યમાં ૬૮ ટકા અનામત થશે. હાલમાં ૫૨ ટકા અનામત પહેલેથી લાગુ છે.