ગુજરાતમાં પરપ્રાંતિયો પર વધી રહેલા હુમલાઓની ઘટના બાદ પરપ્રાંતીયો ગુજરાત છોડી વતન તરફ પલાયન કર્યું છે ત્યારે આજે આણંદ રેલવે સ્ટેશન ખાતે કલેકટર અને પોલીસ અધિક્ષકે પલાયન કરતા પરપ્રાંતીયોને સુરક્ષાની ખાતરી આપી તેઓને ગુજરાત નહીં છોડવા સમજાવ્યા હતા.
આણંદ રેલવે સ્ટેશન ખાતે આજે રાત્રિના સુમારે કલેકટર દિલીપ રાણા અને પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણ સહિત અધિકારીઓનો કાફલો પહોંચતા મુસાફરોમાં કુતુહલ પ્રસરી જવા પામ્યું હતું. કલેકટર અને પોલીસે પ્લેટફોર્મ પર વતનમાં જતા પરપ્રાંતિયોની પૂછપરછ કરી હતી અને તેઓને આણંદ જિલ્લામાં કોઈ તકલીફ છે કે કેમ તેની પૂછપરછ કરી હતી. જોકે મોટાભાગના પરપ્રાંતીય પોતે તહેવારોના કારણે વતનમાં પરત જતા હોવાનું અને તહેવારો આણંદ પરત ફરશે તેમ જણાવ્યું હતું.
કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લામાં દરેક સરપંચ અને અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે પરપ્રાંતિયોને કોઈ પણ પ્રકારની કનડગત થાય નહીં તેનું ધ્યાન રાખવામાં આવે.