અમદાવાદ
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો અને કેનાલોની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી રહી છે. તેમાંથી અમદાવાદ શહેરના ચંડોળા તળાવની બાદબાકી કરવામાં આવી છે. જેના વિરોધમાં અમદાવાદ શહેરના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમાર અને બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખ દ્વારા તળાવમાં ક્રિકેટ મેચ રમીને સરકારની નીતિ રીતિનો અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો ઊંડા ઉતારવા તેમજ તેની સાફ-સફાઈ કરવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ યોજના અંતર્ગત અમદાવાદ શહેરના ૧૨ તળાવો પૈકીના એક એવા દાણીલીમડા વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવની બાદબાકી કરીને સરકાર દ્વારા તેની ક્યાંકને ક્યાંક ઉપેક્ષા કરવામાં આવી રહી છે.
રાજ્ય સરકારની આવી ભેદભાવભરી નીતિનો કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમાર અને સ્થાનિક બહેરામપુરા વોર્ડના કોર્પોરેટર બદરુદ્દીન શેખ દ્વારા અનોખી રીતે વિરોધ કરીને સરકારનો કાન આમ્લવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમાર અને બદરુદ્દીન શેખ દ્વારા આ અનોખા વિરોધમાં આજે ચંડોળા તળાવમાં ક્રિકેટ મેચ રમીને સરકારની આંખ ખોલવાનો પ્રયાસ કરાયો હતો. ક્રિકેટ મેચ રમ્યા બાદ જેસીબી દ્વારા તળાવને ઊંડું ઉતારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગે સ્થાનિક બહેરામપુરા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર બદરૂદ્દીન શેખે જણાવ્યું હતું કે, રાજ્યની ભાજપ સરકાર દ્વારા જળસંચય અભિયાન અંતર્ગત રાજ્યના તળાવોને ઊંડા ઉતારવાની કામગીરી કરી રહી છે. જેના અંતર્ગત અમદાવાદના ૧૨ તળાવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ શહેરના સૌથી મોટા એવા ચંડોળા તળાવની તેમાંથી બાદબાકી કરીને સ્થાનિક વિસ્તારના લોકો સાથે અન્યાય કર્યો છે. જો આ તળાવને ઊંડું ઉતારીને તેમાં પાણીનો સંચય કરવામાં આવે તો અમદાવાદ શહેરના પાણીના તળ ઊંચા આવી શકે છે. તેમજ પાણીની સમસ્યા હલ થઇ શકે છે.
શેખે વધુમાં જણાવ્યું હતું કે, સરકારની આવી ભેદભાવભરી નીતિ-રીતિનો અમે અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે. જેના અંતર્ગત તળાવમાં ક્રિકેટ રમ્યા હતા ત્યાર બાદ હાલમાં આઠથી દસ ફૂટ ઊંડા ચંડોળા તળાવને બે જેસીબી મશીન દ્વારા પાંચ ફૂટ ઊંડું ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેનો ખર્ચ સરકાર નહિ પણ હું આપવાનો છે. આ વિરોધ દ્વારા અમારે સરકારની આંખ ઉઘાડવાનો પ્રયાસ છે.