ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વકરેલો કોરોના હવે રાજ્યમાં હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા દૈનિક કેસની સંખ્યામાં પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે આજ રોજ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1580 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,87,009 ઉપર પહોંચ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 7 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 989 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,75,238 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 7321 છે. અમદાવાદ કોર્પોરેશનમાં 443, સુરત કોર્પોરેશનમાં 405, વડોદરા કોર્પોરેશનમાં 112 અને રાજકોટ કોર્પોરેશનમાં 109 કેસ નોંધાયા હતા. રાજ્યનો રીકવરી રેટ 95.90 ટકા જેટલો છે.
અમદાવાદમાં હવે ખાનગી કોવિડ હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર નહિ મળે. અગાઉ ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ કોર્પોરેશને પોતાના હસ્તક રાખ્યા હતા. જેના નાણાં એએમસી દ્વારા ચૂકવવામાં આવતા હતા. પરંતુ હવેથી ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દીને સારવાર લેવી હશે તો નાણાં ચૂકવવા પડશે.