અમદાવાદ,
વિશ્વ હિંદુ પરિષદ (VHP)ની સ્થાપના બાદ આ સંસ્થાના ઈતિહાસમાં ૫૨ વર્ષ બાદ યોજાયેલી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષના પદની ચૂંટણીમાં વિષ્ણુ સદાશિવ કોકજેનો વિજય થયો છે. આ સાથે હિન્દુત્વનો સૌથી મોટો ચહેરો ગણાતા પ્રવિણ તોગડિયા યુગનો અંત આવ્યો હતો. ત્યારે હવે મંગળવારથી VHPના પૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ અમદાવાદ શહેરના VHP કાર્યાલય વણીકર ભવન ખાતે અનિશ્ચિત ઉપવાસ શરુ કર્યા છે. તોગડિયાએ રામમંદિર અને ગૌહત્યાના કાયદાની માંગ સાથે ઉપવાસ શરુ કર્યા છે.
ભાજપના નેતા સુરેન્દ્ર પટેલ સહિત સંતો અને કાર્યકરો રહ્યા ઉપસ્થિત
પ્રવિણ તોગડિયાના અનિશ્ચિત ઉપવાસમાં કિસાનસંઘના પૂર્વ નેતાઓ, સંતો અને કાર્યકરો મોટી સંખ્યામાં પહોચ્યા છે. વણીકર ભવન ખાતે શરુ થયેલા ઉપવાસ દરમિયાન પૂર્વ કૃષિ મંત્રી લાલજી પટેલ, ડો. ગૌરાંગ શંકરાચાર્ય, ભાજપના નેતા સુરેન્દ્ર પટેલ, કિસાનસંઘના પૂર્વ અધ્યક્ષ પ્રફુલભાઈ સેગલિયા તેમજ અખિલેશદાસજી મહારાજ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે.
પ્રવિણ તોગડિયા નક્કી કાર્યક્રમ મુજબ તેઓ ઉપવાસ સ્થળ પર સવારે ૧૦ વાગ્યે પહોંચવાના હતા પરતું કોઈ કારણોસર બે કે તેથી વધુ કલાકના સમય પછી VHP કાર્યાલય પહોચ્યા હતા. ઉપવાસ સ્થળ પર શ્રી રામના નારા પણ લાગ્યા હતા.
વણીકર ભવન ખાતે પહોંચ્યા બાદ તોગડિયાએ જણાવ્યું, “હું ઉપવાસ શરૂ કરવા જઈ રહ્યો છું અને હું લોકો સુધી મારી માંગ રજૂ કરીશ”.
તોગડિયા અમારા સાથી છે : સુરેન્દ્ર કાકા
બીજી બાજુ ભાજપના કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલે (કાકા) જણાવ્યું હતું કે, ” પ્રવીણ તોગડિયા અમારા સાથી છે અને રામમંદિર મુદ્દો ભાજપ ભૂલી નથી”.
પોલીસ દ્વારા લેખિત મંજૂરી આપવામાં આવી નથી
સ્થાનિક પ્રસાશન દ્વારા આ ઉપવાસ માટે લેખિત મંજૂરી આપવામાં આવી નથી. જયારે આ અનિશ્ચિત ઉપવાસને લઇ પોલીસનો પુખ્તા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ પ્રસાશન દ્વારા ૫ PI, ૫ PSI અને ૭૦ વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
ઉપવાસ સ્થળમાં કરવામાં આવ્યા બદલાવ
મહત્વનું છે કે, VHPની ચૂંટણીમાં તોગડિયા ગ્રુપની હાર બાદ તેઓએ ૧૭ એપ્રિલથી અનિશ્ચિત ઉપવાસ કરવાની જાહેરાત કરી હતી અને આ પહેલા પ્રવીણ તોગડિયા સાબરમતી આશ્રમ પાસે આવેલાં બત્રીસી હોલ ખાતે ઉપવાસ કરવાની માહિતી સામે આવી હતી, જો કે ત્યારબાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં ઉપવાસનું સ્થળ નક્કી કરાયુ હતું..જો કે હવે અચાનક ઉપવાસનું સ્થળ બદલાતા અનેક તર્ક વિતર્ક ચાલુ થયાં હતા.