શહેરમાં સતત વધી રહેલા હત્યાના ગુનાઓમાં વધુ એક ઉમેરો થયો છે. અમદાવાદના સરસપુર વિસ્તારની નિર્મળપુરા ચાલીના એક મકાનમાં દિનેશ પરમાર અને તેની પત્ની આરતી રહેતા હતા. મંગળવારે મોડી રાત્રે દિનેશ અને આરતી વચ્ચે દારુ પીવા બાબતે ઝઘડો થયો હતો અને અચાનક જ અત્યંત આવેશમાં આવી ગયેલા દિનેશ અને આરતી વચ્ચે મારામારી થઈ હતી. આવેશમાં આવી ગયેલા દિનેશે ધારદાર હથિયાર વડે આરતી પર હુમલો કરી લોહીલુહાણ કરી દીધી હતી અને આરતી મોતને ભેટી હતી.
પત્નીની હત્યા થયા બાદ ભાવુક બની ગયેલા દિનેશે પણ પોતાના હાથના કાંડા પર તિક્ષ્ણ હથિયારના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ અચાનક દોડી આવેલા આજુબાજુના લોકોએ ઘરમાં તપાસ કરતાં બંને પતિ પત્ની લોહીલુહાણ હાલતમાં મળી આવતાં લોકો ચોંકી ઉઠ્યા હતા. બંનેને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડ્યા હતા પણ કમનશીબે તબીબે આરતીને મ્રુત જાહેર કરી હતી. જ્યારે દિનેશને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
જો કે ત્યારબાદ આરતીનું મોત નીપજ્યાની ઘટનાની જાણ ડાંગરવા ગામમાં રહેતા તેના પિતા કનુભાઈ અને અન્ય સંબંધીઓ થતા તેઓ પણ દોડી આવ્યા હતા અને આ અંગે કનુભાઈએ તેમની પુત્રીની હત્યાની ઘટના અંગે જમાઈ દિનેશ સામે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો.
આ ચોંકાવનારી ઘટનાને જોતાં કોટડા પોલીસે નિર્મળપુરા ચાલી ખાતે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. દિનેશ હાલ સારવાર હેઠળ છે. જેને તબીબની રજા બાદ પોલીસ નિવેદન નોંધશે. હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ તેની પોલીસ ધરપકડ કરશે.