દહેગામ,
દહેગામમાં ભગવાનની શોભાયાત્રા દરમિયાન ભક્તો સાથે પોલિસને સંઘર્ષ થતાં શહેરનું વાતાવરણ તંગ થયું હતું.દહેગામમાં શનિવારે શનિદેવની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોઇ શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જો કે આ શોભાયાત્રા દરમિયાન તેના રૂટ બદલવા અંગે પોલિસે દબાણ કરતાં અનેક ભક્તો નારાજ થયા હતા.
મળતી વિગતો પ્રમાણે દહેગામના જાણીતા સિદ્ધેશ્વર મહાદેવના મંદિરના પરિસરમાં શનિદેવની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરીને તેમનું મંદિર બનાવવાનું હતું.આ કાર્યક્રમ માટે શનિદેવની મુર્તિની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. દહેગામના જેલસા મહોલ્લાથી લઇને સિદ્ધેશ્વર મહાદેવના મંદિર સુધી આ શોભાયાત્રા નીકળવાની હતી.આ માટે જરૂરી પરમીશન માટે અરજી પણ કરવામાં આવી હતી.જો કે પોલિસે શોભાયાત્રા માટે લેખિત મંજુરી નહોતી આપી પરંતું મૌખિક પરવાનગી આપી હતી.પોલિસે શોભાયાત્રામાં સવાસો જેટલા જવાનોનો બંદોબસ્ત પણ આપ્યો હતો.
જો કે વહેલી સવારે શોભાયાત્રા નીકળી તે પછી પોલિસે અચાનક રૂટ બદલવા જણાવ્યું હતું.શોભાયાત્રાના રૂટમાં લઘુમતી વિસ્તાર આવતો હોવાથી પોલિસે આયોજકોને રૂટ બદલવા જણાવતા મામલો ગરમાયો હતો અને ભક્તો અને પોલિસ વચ્ચે સંઘર્ષ થયું હતું.પોલિસે શોભાયાત્રા કાઢી રહેલાં ભક્તોને રૂટ બદલવા દબાણ લાવતા આખરે યાત્રાને સ્થગિત કરવી પડી હતી.
પોલિસે યાત્રાને બીજે રસ્તે લઇ જવાનો આગ્રહ રાખતા આખરે શોભાયાત્રાને બદલે શનિદેવનીં મુર્તિને ગાડીમાં મુકીને લઇ જવી પડી હતી. જો કે શનિદેવની પ્રાણ પ્રતિષ્ઠા માટેની મુર્તિને આવી રીતે ગાડીમાં લઇ જવાતા દહેગામના સ્થાનિક લોકોમાં પોલિસ વિરૂધ્ધ ભારે રોષની લાગણી ફેલાઇ હતી.
ભક્તો સાથે પોલિસનો સંઘર્ષનો વીડીયો પણ સોશિયલ મીડીયામાં વાઇરલ થઇ રહ્યો છે. પોલિસે આ વીડીયો વાઇરલ કરવા સામે પણ પોલિસ કેસ કરવાની ધમકી આપી હતી.