મોરબી,
મોરબી તાલુકાને અછતગ્રસ્ત જાહેર નહીં કરાતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દસ દિવસમાં મોરબી તાલુકાને અછતગ્રસ્ત જાહેર નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી સરપંચ મંડળએ આપી છે.
ભારે વિરોધ બાદ .મોરબી જિલ્લામાં વાંકાનેર, હળવદ અને માળીયા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા છે પરંતુ મોરબી અને ટંકારાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા નથી.
મોરબી જિલ્લાના એક પણ તાલુકામાં સંતોષકારક વરસાદ નથી. પૂરતા વરસાદના અભાવે ખેડૂતો પાયમાલ બન્યા છે. વરસાદની નોંધણી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ થઈ છે.
જેમાં શહેરને ધ્યાને લઇ મોરબી તાલુકાને અન્યાય કરવામાં આવ્યો છે ત્યારે જો ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઇ તેનો ક્યાસ કાઢવામાં આવ્યા હોત તો આ અન્યાય ન થાત ત્યારે આ અન્યાય નિવારવા અને મચ્છુ 2 ડેમ માંથી પિયત માટે પાણી આપવાની માંગણી કરતું આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું છે અને દસ દિવસમાં અછતગ્રસ્ત જાહેર નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ફરજ પડશે તેવી ચીમકી મોરબી તાલુકા સરપંચ મંડળએ આપી છે. આ સાથે વધુમાં જણાવ્યું હતું કે ટંકારા તાલુકામાં આગામી સોમવારે ખેડૂતોની રેલી યોજાનારી છે.