Gandhinagar News: ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે (Gujarat Education) સરકારી પ્રાથમિક શાળાઓના વહીવટને વધુ અસરકારક બનાવવા માટે મુખ્યશિક્ષક (હેડ ટીચર)નો ચાર્જ સોંપવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કર્યા છે. અગાઉ 17 જાન્યુઆરીએ બહાર પાડવામાં આવેલ પરિપત્રને તાત્કાલિક અસરથી રદ કરીને નવી માર્ગદર્શિકા અમલમાં મૂકવામાં આવી છે.
વિભાગના જણાવ્યા અનુસાર જૂની જોગવાઈઓમાં કેટલીક વહીવટી મુશ્કેલીઓ અને વિસંગતતાઓ સામે આવતાં નવી વ્યવસ્થા અમલમાં લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને એવી શાળાઓ માટે સ્પષ્ટતા કરવામાં આવી છે જ્યાં HTAT પાસ મુખ્યશિક્ષકનું મંજૂર મહેકમ ઉપલબ્ધ નથી.
Gujarat Education: 15 કિલોમીટર ત્રિજ્યાનો નવો નિયમ
નવી માર્ગદર્શિકા મુજબ જો કોઈ શાળામાં મુખ્યશિક્ષકની જગ્યા ખાલી હોય તો નજીકની શાળામાંથી ચાર્જ સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માટે 15 કિલોમીટરની ત્રિજ્યા નક્કી કરવામાં આવી છે.સાથે જ શાળાના સૌથી વરિષ્ઠ અને અનુભવી શિક્ષકને વહીવટી જવાબદારી સોંપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. વધુ વિદ્યાર્થીઓ ધરાવતી મોટી શાળાઓને વહીવટી કામગીરીમાં અગ્રતા આપવામાં આવશે.
બે શાળાની જવાબદારી માટે વિશેષ સમયપત્રક
કેટલાક કિસ્સાઓમાં શિક્ષકોને બે શાળાઓનો વહીવટ સંભાળવો પડી શકે છે. આવી સ્થિતિમાં શિક્ષણ કાર્યને અસર ન થાય તે માટે વિભાગે વિશેષ સમયપત્રક તૈયાર કરવાની જોગવાઈ કરી છે.આ વ્યવસ્થાથી વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિક્ષેપ ન પડે અને વહીવટી કામગીરી પણ સુચારૂ રીતે ચાલી શકે તેવો વિભાગનો પ્રયાસ છે.
દિવ્યાંગ શિક્ષકોને વિશેષ રાહત
નવા નિયમોમાં દિવ્યાંગ શિક્ષકો માટે વિશેષ છૂટછાટ આપવામાં આવી છે. વહીવટી દોડધામ અને વધારાની જવાબદારીઓથી તેમને રાહત મળે તે માટે માનવીય અભિગમ અપનાવવામાં આવ્યો છે.
ચાર્જ સ્વીકારવાનો ઇનકાર કરનાર સામે કાર્યવાહી
શિક્ષણ વિભાગે (Gujarat Education) સ્પષ્ટ કર્યું છે કે નિયુક્ત કરવામાં આવેલા શિક્ષક જો મુખ્યશિક્ષકનો ચાર્જ લેવાનો ઇનકાર કરશે તો તેમની સામે વહીવટી અને શિસ્તભંગ સંબંધિત કાર્યવાહી કરવામાં આવશે.
ભથ્થું મળશે, પરંતુ પ્રમોશનમાં લાભ નહીં
ચાર્જ સંભાળનારા શિક્ષકોને સરકાર દ્વારા નક્કી કરાયેલા નાણાકીય લાભ અને વિશેષ ભથ્થાં આપવામાં આવશે. જોકે, ઇન્ચાર્જ તરીકેની સેવા ભવિષ્યમાં પ્રમોશન, સિનિયોરિટી અથવા બદલી માટે માન્ય ગણાશે નહીં.
દર વર્ષે આપોઆપ ચાર્જ મુક્તિ
વિભાગે વધુમાં સ્પષ્ટતા કરી છે કે આ વ્યવસ્થા માત્ર વહીવટી હેતુ માટે છે અને દર વર્ષે ઉનાળુ વેકેશન શરૂ થાય તે પહેલાં આવા ઇન્ચાર્જ શિક્ષકો આપોઆપ ચાર્જ મુક્ત ગણાશે.નવી માર્ગદર્શિકાનો હેતુ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વહીવટી વ્યવસ્થાને વધુ પારદર્શક, સુવ્યવસ્થિત અને જવાબદાર બનાવવાનો હોવાનું શિક્ષણ વિભાગે (Gujarat Education) જણાવ્યું છે.
આ પણ વાંચો:ગુજરાતમાં 1808 HTAT મુખ્ય શિક્ષકોની ભરતીને મંજૂરી, શિક્ષણ વિભાગે ભરતી પ્રક્રિયા શરૂ કરવા આપ્યા આદેશ
આ પણ વાંચો:ગુજરાતમાં શાળાઓનું વેકેશન લંબાયું એ અફવા છે કે હકીકત? શિક્ષણ વિભાગની સ્પષ્ટતા
આ પણ વાંચો:ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, શાળાઓના સમયમાં કરાયો ફેરફાર
