ગુજરાત,
ગુજરાતભરમાં એસટી નિગમના કર્મચારીઓ સાતમા પગાર પંચનો લાભ આપવા સહિત અનેક પડતર માગણીઓને લઇ માસ હડતાલ પર ઉતર્યા છે.
જેમાં રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, નડિયાદ છોટાઉદેપુર, દાહોદમાં કર્મીઓ હડતાળ પર ઉતરી આવ્યા હતા. રાજ્યભરની તમામ બસોના પૈડા થંભી જતાં બસમાં મુસાફરી કરતા 24 લાખ જેટલા પેસેન્જરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
ઉલ્લેખનીય છે કે ખાનગી બસ સર્વિસના કારણે નિગમને થઈ રહેલા આર્થિક નુકસાનના વિરોધમાં એસટીના ત્રણેય માન્ય યુનિયનની સંકલન સમિતિના નેતૃત્વમાં બુધવારે રાતે 12 વાગ્યાથી તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા હતા.
રાજ્ય એસટી કર્મચારી મહામંડળના સુત્રોના જણાવ્યાં પ્રમાણે, એસટી નિગમના કર્મચારીઓના લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોનું નિરાકરણ નહી આવતા હડતાળનો નિર્ણય લેવાયો છે.
આ પહેલા પણ અનેક વખત રજૂઆતો અને આવેદનપત્રો પાઠવ્યા છે. પરંતુ માત્ર આશ્વાસન અપાયું છે. જેથી રાજ્યના ૪૫ હજારથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાશે.