અમદાવાદ: સુરતમાં PAAS-SPG ની એક સંયુક્ત બેઠક યોજાઇ હતી. સુરતના સરથાણામાં પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) અને સરદાર પટેલ ગ્રૂપ (SPG)ની એક બેઠક આજે સુરત ખાતે મળી હતી. આ બેઠકમાં ‘પાસ’ના કન્વીનર અલ્પેશ કથીરિયા સહીત જેલમાં બંધ સાત પાટીદાર યુવકોને જેલ મુક્ત કરાવવા માટેની રણનીતિ ઘડવામાં આવી હતી.
આ બેઠકમાં પાસ અને એસપીજીના લાલજી પટેલ, દિનેશ બાંભણીયા, ગીતા પટેલ, દિલીપ સાબવા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજ્યભરના તમામ પાસના કન્વિનરો અને એસપીજીના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ બેઠકમાં જેલમાં રહેલા અલ્પેશ કથીરિયા સહીત જેલમાં બંધ પાટીદાર યુવકોની મુક્તિ માટે ચર્ચા કરવામાં આવી હતી. અલ્પેશ કથીરિયા સહિતના સાત પાટીદારોની જેલમુક્તિ માટે રાજ્યભરમાં પાસ અને એસપીજી દ્વારા એક સમાન કાર્યક્રમો ઘડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમો દ્વારા પાટીદાર યુવાનોની મુક્તિ માટેની માંગણીને તેજ બનાવવામાં આવશે.
![અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ માટે મતભેદો ભૂલી PAAS-SPG સુરતમાં એક થયા 2 Forgetting differences for Exemption of Alpesh Kathiriyas, PAAS-SPG is united in Surat](https://api.mantavyanews.in/wp-content/uploads/2018/09/PAAS-SPG-Surat.jpg)
આ મામલે હાર્દિક પટેલ સાથે પણ ટેલિફોનીક વાતચીત કરીને તેની પણ સલાહ લઇને પાટીદાર યુવાનો પર લાગેલા રાજદ્રોહના ગુન્હાને લઇને આંદોલનને ક્યાં રસ્તે લઇ જવું તે અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ બેઠક બાદ પાસ દ્વારા બેસાડાયેલા વિઘ્નહર્તા ગણપતિની વિસર્જન રેલીમાં પાસ અને એસપીજીના આગેવાનો કાર્યકરો જોડાયા હતા.
અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ માટે PAAS અને SPG સહિતના પાટીદાર આંદોલનકારીઓએ પોતાના મતભેદ ભૂલીને એક સાથે આવ્યા હતા. સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલી આશીર્વાદ સોસાયટી ની વાડીમાં ગણેશ વિસર્જન પૂર્વે ગુજરાતના પાટીદાર આંદોલનકારીઓ મળ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ દરેક પાટીદાર સંસ્થાઓ વચ્ચે મતભેદો ઉભરીને સામે આવ્યા હતા. આજે આ બધા મતભેદોને ભૂલીને અલ્પેશ સહિતના યુવાનોને જેલમાંથી છોડાવવા માટે ફરી એક વખત એક મંચ પર એકઠાં થયા હતા.