અમદાવાદ,
અમરેલી જિલ્લાના સાવરકુંડલામા બોરાળા ગામના ફાટક પાસે થોડા દિવસો પહેલા માલગાડીની અડફેટે આવી જતા કપાઇ જવાથી ત્રણ સિંહોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.
સિંહોનાં મોતના મામલે ગુજરાત હાઇકોર્ટે ખૂબ જ ગંભીર નોંધ લીધી હતી અને આ સમગ્ર મામલે કેન્દ્ર સરકાર અને રેલવે તંત્રનો ખુલાસો માંગવામાં આવ્યો હતો. આ અંગે ગીર અભયારણ્ય વિસ્તારમાં 45 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે ટ્રેન નહીં ચલાવવા અંગે પણ નિર્દેશ અપાયા છે.
ગુજરાત હાઇકોર્ટમાં રેલવે મંત્રાલયે સ્વીકાર્યું છે કે સિંહો ગીર અભયારણ્ય માર્ગ પર ચાલતી ટ્રેનની અડફેટે આવ્યાં હતાં. સિંહોના આવનજાવનના માર્ગમાં ઈમરજન્સી બ્રેકનો ઉપયોગ કરવાનો નિર્દેશ પણ તેઓએ આપ્યો છે. અભયારણ્ય વિસ્તારમાં 45 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે ટ્રેન નહીં ચલાવવા અંગે પણ નિર્દેશ અપાયા છે.
જો કે બીજી તરફ રેલવે પોતાનો બચાવ કરતા એમ પણ કહ્યુ હતું કે તેમણે ટ્રેનની સ્પીડ ઓછી કરી છેલ્લા 3 વર્ષમાં 63 સિંહોને બચાવ્યા છે.
આ ઉપરાંત સિંહોના અકાળે મોતના મામલે રાજ્ય સરકાર પણ પોતાનું સોગંદનામુ હાઇકોર્ટમાં દાખલ કરી શકે છે. નોંધનીય છે કે હાઇકોર્ટે ટ્રેનની અડફેટે કપાઇ જવાથી સિંહોના મોત પ્રકરણમાં ખુલાસા સાથેનું જરૂરી સોગંદનામું રજૂ કરવા રાજ્ય, કેન્દ્ર સરકાર અને રેલ્વે તંત્રને આદેશ કર્યો હતો.