ગોધરા,
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પંચમહાલના જાંબુઘોડાની કુમાર શાળાથી રાજ્યવ્યાપી શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.
સીએમ રૂપાણીએ શાળામાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ સાથે પ્રાથમિક શાળાના બાળ ડોકટરો સાથે મુલાકાત કરી હતી અને બાળકો પોતાની કાળજી કેવી રીતે રાખી શકે તે માટે માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
સીએમના કાર્યક્રમને લઈને વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્કુલના બાળકો સફેદ એપ્રોન અને ગળામાં સ્ટેથોસ્કોપ લગાવી ડોકટર બન્યા હતા. તો આ સાથે બાળકોને સ્વચ્છતા અને સ્વાસ્થયની આદતો અંગે વિદ્યાર્થીઓને સમજ આપી હતી.
પ્રાથમિક શાળામાં, શિક્ષક અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વર્ગખંડના મોનીટર અથવા હોંશિયાર વિદ્યાર્થીને બાળ ડોકટર બનાવવામાં આવે છે. આ બાળકોને આરોગ્ય વિભાગ દ્વારા તાલીમ આપવામાં આવે છે. બાળ ડોકટર અનેલો વિદ્યાર્થી પોતાના વર્ગખંડના અન્ય બાળકોની તપાસ રાખે છે. વાળ-નખ કાપવા તેમજ સ્વચ્છતા અને સ્વાસ્થ્યની આદતો અંગે અન્ય વિદ્યાર્થીઓને સમજ આપે છે. જેમાં જમતાં પહેલા અને શૌચક્રિયા બાદ સાબુથી હાથ ધોવા, વર્ગખંડને સ્વચ્છ રાખવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
આ બાળ ડોકટરો શાળાએ આવતા કોઇ બાળકને ખાંસી, તાવ જેવી કે અન્ય ચેપી બિમારી હોય તો તેની જાણ શાળાના શિક્ષકને કરતાં હોય છે. જેથી ચેપી રોગનું સંક્રમણ ન થાય અને અન્ય બાળકોમાં રોગ ન ફેલાય તેમજ તેની સમયસર સારવાર રોગિષ્ટ બાળકને ઉપલબ્ધ થઇ શકે તેવો ઉદ્દેશ શાળામાં બાળ ડોક્ટર બનાવવાનો છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને આ બાળ ર્ડાકટરોએ ફૂલો આપી આવકાર્યા હતા. તો મુખ્યમંત્રી આ બાળકોને હેતથી ભેટયા હતા.