અમદાવાદ: રાજકોટના રૈયાધાર મફતીયાપરામાં બે દિવસ અગાઉ એક યુવાનની બોથડ પદાથર્ના ઘા ઝીકી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હતી. જે અંગે પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. એટલું જ નહિ ગણતરીની કલાકોમાં જ કોટડાસાંગાણીના ત્રણ પિતરાઈ ભાઈઓને ઉઠાવી લઈ આકરી પૂછપરછ કરીને ભેદ ઉકેલી નાખ્યો હતો.
પોલીસની પૂછપરછમાં આ શખ્સોએ જણાવ્યું હતું કે, લૌકિકે આવ્યા બાદ દારૂ પીવા માટે એકઠા થયેલા પિતરાઈ ભાઈઓ સાથે માથાકૂટ થઈ હતી. જેના કારણે હાથમાં પહેરેલા કડાના ઘા ઝીકી પતાવી દીધો હતો. ત્યાર બાદ લાશને ઢસડીને લઇ જઈને ઝાડીમાં ફેંકી ત્રણેય પિતરાઈ ભાઈઓ નાસી ગયા હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે પોલીસે ત્રણેય શખસોની ધરપકડ કરીને હત્યાનું રિ-કન્ટ્રકશન કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલા મફતિયાપરામાં રખડતું જીવન જીવતો રાજુ ઉર્ફે મિથુન ઉકા ઘટાર (ઉ.વ.40) નામના યુવકની બે દિવસ અગાઉ માથામાં બોથડ પદાથર્ના ઘા ઝીકી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
આ હત્યાના બનાવના પગલે યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ દવે સહિતના સ્ટાફે બાતમીના આધારે કોટડાસાંગાણીમાં રહેતા ત્રણ પિતરાઈ ભાઈઓ ભરત બટુક ચારોલીયા, લધા બટુક ચારોલીયા અને કિશોર જગુ ચારોલીયાની અટકાયત કરી લઈ આવ્યા હતા અને તેમની આકરી પૂછપરછ કરી હતી.
જેમાં આ ત્રણેય જણાએ જણાવ્યું હતું કે, તેઓ તેના બનેવીના લૌકિકમાં રાજકોટ આવ્યા હતા. ત્યારે દારૂ પીવા બેસવાના મામલે રાજુ ઉર્ફે મિથુન સાથે તેમની માથાકૂટ થઈ હતી. જેના કારણે ત્રણેયે રાજુ ઉર્ફે મિથુન પર ઢીકાપાટુ, પથ્થર અને હાથમાં પહેરેલા કડા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ પછી ત્રણેય જણાએ લાશને ઢસડીને ઝાડીમાં ફેંકી નાસી ગયા હોવા અંગેની પણ ત્રણેય જણાએ કબૂલાત કરી હતી. જેના આધારે પોલીસે ત્રણેયની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત આરોપીઓ પાસેથી હત્યાનું રિ-કન્ટ્રકશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.