ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેના જૂથે મંગળવારે કહ્યું હતું કે મોરબી બ્રિજ અકસ્માતમાં લોકોના મૃત્યુ અંગે ગુજરાત સરકાર તેની જવાબદારી છોડી શકે નહીં. તેમણે એવો પ્રશ્ન પણ કર્યો કે શું આને છેતરપિંડી, કાવતરું કહેવું જોઈએ કે માત્ર અકસ્માત કહેવું યોગ્ય રહેશે? ઠાકરેએ કહ્યું કે, “જ્યારે 2016 માં પશ્ચિમ બંગાળમાં સમાન ઘટના બની હતી, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય સરકારની ટીકા કરી હતી.”
વધુમાં ઠાકરેએ કહ્યું હતુ કે મોરબી બ્રિજ અકસ્માતમાં જેઓ મરણ પામ્યા છે શું તે લોકોનું જીવન પાછું આવશે? બ્રિજની જાળવણી માટે જવાબદાર કંપની સામે તપાસ થવી જોઈએ, ગુજરાત સરકાર તેની જવાબદારીમાંથી છટકી શકે નહીં.’
ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના અનુસાર, “શું પુલનું પુનર્નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું કે નહીં? ક્ષમતા કરતા વધુ લોકો પુલ પર કેવી રીતે પહોંચ્યા? ઘણા પ્રશ્નો છે અને ગુજરાત સરકારે દરેક પ્રશ્નનો જવાબ આપવો પડશે. કેન્દ્ર પણ પોતાની જવાબદારીમાંથી પીઠ ફેરવી શકતું નથી.
આ ઘટનામાં ઘાયલ થયેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે અકસ્માત અચાનક થયો હતો અને પુલ પર ઘણા બધા લોકો હોવાને કારણે આ બન્યું હોઈ શકે છે. દિવાળીની રજા અને રવિવારના કારણે મુખ્ય પ્રવાસન આકર્ષણ પુલ પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. એક ખાનગી ઓપરેટરે લગભગ છ મહિના સુધી બ્રિજનું રિપેરિંગ કામ કર્યું હતું.