પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ગાંધી જયંતીના દિવસથી મોરબીના બગથળા ગામથી એક દિવસના પ્રતીક ઉપવાસ શરુ કર્યા હતા.
આ દરમિયાન હાર્દિક પટેલે સભાને સંબોધિત કરતા જણાવ્યું કે, ચાર માંગણીઓને લઈને પ્રતીક ધરણાં યોજવામાં આવ્યા છે. ગયું એક વર્ષ મોરબી માટે કપરું રહ્યું છે. હાર્દિકે કહ્યું કે, જો એક સપ્તાહમાં કેનાલમાંથી પાણી છોડવામાં નહિ આવે, તો અમે કેનાલમાં પગપાળા યાત્રા કરી આંદોલન કરીશું.
હાર્દિકે હુંકાર કરતા જણાવ્યું કે, જો હું ગુજરાતના 200 તાલુકામાં એક દિવસ ઉપવાસ કરું, તો ખેડૂતોના દીકરાને બાંયો ચડાવતો કરી દઉં. સરકાર પર પ્રહાર કરતા હાર્દિકે આગળ જણાવ્યું કે, બાટલાના ભાવ 350 થી 800 થયા છે. પરંતુ કપાસના ભાવ 800થી 1500 થયા નથી. વાંક આપણો છે, કે આપણે ખરાબ મુખ્યમંત્રીને ચૂંટીને મોકલ્યા છે.
જણાવી દઈએ કે, હાર્દિકના કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા હાજર રહ્યા હતા. હાર્દિકના ઉપવાસમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.