અમદાવાદ: રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓને ઘરકામ નહિ આપવા તેમજ તેમના દફતરનું વજન ઘટાડવા અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે.
રાજ્યની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને દફતરના વજનને લઇને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એક પરિપત્ર બહાર પાડ્યો છે જે અંગેની જાહેરાત તેમણે પ્રેસ કોન્ફરન્સ મારફત કરી હતી.
શિક્ષણ મંત્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે, ભાર વાળા ભણતરના લીધે નાના ધોરણના બાળકોને ભારે મુશ્કેલી અને તકલીફ પડી રહી છે. નાના બાળકોના દફતરોમાં વધારે ભાર હોવાથી તેમને ગળાની તકલીફ, કમરની તકલીફ જેવી અનેક તકલીફો પડી રહી છે.
આ તમામ બાબતો સામે આવતા સરકાર દ્વારા આ મામલે નિર્ણય લેવામાં આવ્યો છે કે, ધોરણ 1 અને 2માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વજનના દસમાં ભાગ જેટલું એટલે કે બાળકોના વજનનું 10 ટકા વજન તેમના દફતર હોવું જોઇએ તેવો નિર્ણય લેવામાં આવ્યો છે તેવું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.
વધારાની નોટબુક અને ગૃહકાર્ય મુદ્દે પણ કરાયો નિર્ણય
પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પાસે નિબંધમાળા, અન્ય નોટબુક, હોમ વર્ક બુક વગેરે જેવી વધારાની નોટબુક રાખવાની મનાઇ પણ આ પરિપત્ર દ્વારા ફરમાવવામાં આવી છે.
આ પરિપત્ર દ્વારા ધોરણ 1 અને 2માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનું ગૃહકાર્ય નહિં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જ્યારે ધોરણ 3, 4 અને 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માત્ર અડધો કલાક સુધીનું જ ગૃહકાર્ય કે હોમ વર્ક આપવા માટે આ પરિપત્ર મારફત શિક્ષકોને આદેશ કરી દેવામાં આવશે તેમ પણ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.