અમદાવાદ: PM નરેન્દ્ર મોદી આવતીકાલે ગાંધીનગર સહીત ગુજરાતના ત્રણ સ્થળોની મુલાકાતે આવી રહ્યા છે. જેના અંતર્ગત ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પહોંચીને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૨૩મી ઓગષ્ટના રોજ ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. જેના અંતર્ગત તેઓ પહેલાં વલસાડ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત રાજ્યમાં નિર્માણ પામેલા 1,15,551 આવાસોના વિવિધ જિલ્લાના લાભાર્થીઓને સામૂહિક ઈ-ગૃહ પ્રવેશ કરાવશે. તેમજ પાણી પુરવઠા યોજનાનું ભૂમિપૂજન કરાવશે.
ત્યાર બાદ જૂનાગઢ ખાતે નવનિર્મિત સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ, જૂનાગઢ કૃષિ યુનિ.ના બિલ્ડિંગ, નવી ફિશરીઝ કોલેજની ગર્લ્સ હોસ્ટેલનું ઉદઘાટન, દૂધ ઉત્પાદક સંઘના નવાં મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરશે.
આ પછી તેઓ સાંજના ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ચોથા પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહેશે. ગાંધીનગરના કાર્યક્રમને અનુલક્ષીને ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની મુલાકાત લઇને કાયદો – વ્યવસ્થા, સભા મંડપ, મુખ્ય સ્ટેજ સહિતની વ્યવસ્થાનું નિરીક્ષણ કરી વિવિધ માહિતીઓ મેળવી હતી.
આ પ્રસંગે રાજયના પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝા, ગાંધીનગર રેન્જ આઇ.જી. મયંકસિંહ ચાવડા, જિલ્લા કલેકટર એસ.કે.લાંગા, જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડા, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.