અમદાવાદ: વરિષ્ઠ પત્રકાર, લેખક અને ગુજરાતી સાહિત્યકાર ભગવતીકુમાર શર્માનું આજે સવારે છ વાગ્યે સુરતના અડાજણ ખાતે તેમના નિવાસસ્થાને નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. ભગવતીકુમાર શર્માનું કવિતા, ટૂંકી વાર્તા ચરિત્ર અને નવલકથામાં વિશેષ પ્રદાન રહ્યુ છે. ભગવતીકુમાર શર્માએ નવલકથા, ટૂંકી વાર્તાઓ, કવિતાઓ અને વિવેચન ક્ષેત્રે કાર્ય કર્યું છે. તેમને 1977માં કુમારચન્દ્રક, 1984માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને 1988માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.
ભગવતીકુમાર શર્માનો જન્મ તા. 31 મે 1934ના રોજ સુરતમાં હરગોવિંદભાઇ અને હીરાબેનને ત્યાં થયો હતો. તેમણે 1950માં માધ્યમિક શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યું પણ ત્યાર પછી અભ્યાસ છોડી દીધો હતો. 1968માં તેમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં સ્નાતકની પદવી મેળવી હતી.
જો કે આ દરમિયાનમાં ભગવતીકુમાર શર્મા 1955માં ગુજરાત મિત્રના સંપાદન વિભાગમાં જોડાયા હતા. પત્રકારત્વ ક્ષેત્રે તેમણે લાંબો સમય કામગીરી બજાવી હતી. આ પછી તેઓ 2009થી 2011 સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ રહ્યા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૂર્ધન્ય સાહિત્યકાર અને વરિષ્ઠ પત્રકાર ભગવતીકુમાર શર્માના સુરત ખાતે થયેલા દુઃખદ અવસાન અંગે ઘેરા શોક અને દુઃખ ની લાગણી વ્યક્ત કરીને સદ્દગતને શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રીએ ભાવાંજલી આપતા કહ્યું કે, “ભગવતીકુમાર શર્માના નિધનથી સાહિત્ય જગત અને પત્રકારિતા ક્ષેત્રને ન પુરાય એવી ખોટ પડી છે. કટાર લેખન અને રચનાઓથી બહુવિધ વિષયોને સમાજ સમક્ષ ઉજાગર કરવામાં ભગવતીકુમાર શર્માનું પ્રદાન સદાકાળ આપણને યાદ રહેશે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી આપી શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વરિષ્ઠ પત્રકાર, લેખક અને સાહિત્યકાર ભગવતીકુમાર શર્માના નિધન અંગે ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
નવલકથા
તેમણે લખેલી નવલકથાઓમાં અસૂર્યલોક (1987) (સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા), ઊર્ધ્વમૂલ (1981), સમયદ્વીપ, આરતી અને અંગાર, વીતી જશે આ રાત?, રિક્તા, ના કિનારો ના મઝધાર અને વ્યક્તમધ્યનો સમાવેશ થાય છે,
નવલિકા
તેમણે લખેલી નવલિકાઓમાં દીપ સે દીપ જલે, હૃદયદાન, રાતરાણી, છિન્ન ભિન્ન, અડાબીડ, વ્યર્થ કક્કો – છળ બારાખડી અને તમને ફૂલ દીધાનું યાદનો સમાવેશ થાય છે.